આત્મનિર્ભર ભારતમાં ટોય ઈન્ડસ્ટ્રીએ મોટી ભૂમિકા અદા કરવાની છેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 68મી વાર મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યુ.. જેમાં દેશમાં રમકડાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી માંડીને સ્ટાર્ટ અપ દ્વારા મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવા આહવાન કરી આત્મનિર્ભર બનવા માટે કહ્યુ હતુ. તો તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તૈયાર કરાયેલા ન્યુટ્રીશીયન પાર્ક વિશે પણ જાણકારી આપી હતી.
➡️પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવિદેશના લોકો સાથે સંવાદ કર્યો હતો. રેડિયો કાર્યક્રમની 68મી કડીમાં દેશવિદેશના લોકો સાથે સંવાદ કરતાં પ્રધાનમંત્રીએ આવી રહેલા શિક્ષક દિવસની યાદ અપાવી વિદ્યાર્થી અને શિક્ષકોને ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવા હાકલ કરી હતી. કોરોનાને હરાવવા પણ અપીલ કરી હતી.
➡️પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાત કાર્યક્રમના માધ્યમથી દેશવિદેશના લોકો સાથે સંવાદ કરતાં પર્વ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજાવવા પ્રયાસ કર્યો હતો. તેમણે બિહારના થારૂ સમુદાયના 60 કલાકના બરના પાલન અને લોકડાઉન વચ્ચેની સમાનતાને સમજાવતાં દેશમાં ચાલી રહેલા ઓણમ પર્વની પણ યાદ અપાવી હતી.તેમણે કહ્યું હતું કે ઓણમ આંતરરાષ્ટ્રીય પર્વ બનતું જાય છે.
➡️ભારતને રમકડાના ઉત્પાદનનું હબ બનાવવા કરેલા અનુરોધને દોહરાવતાં પ્રધાનમંત્રીએ ગુરૃદેવ રવીન્દ્રનાથ ટાગોરે આપેલી રમકડાની વ્યાખ્યા પણ સમજાવી હતી. તેમણે એ સમજાવવા પ્રયાસ કર્યો હતો કે શ્રેષ્ઠ રમકડું એ છે કે જે અપુર્ણ હોય. અપુર્ણ રમકડું બાળકની સર્જનશીલતાને વધારે છે. દેશના વિવિધ વિસ્તારોમાં રમકડા ઉત્પાદનની પરંપરા પ્રવર્તી રહી હોવાનું યાદ અપાવતાં તેમણે પ્રશ્ન કર્યો હતો કે રમકડા બજારમાં દેશની ભાગીદારી કેમ ઓછી છે ? તેમણે દેશી થીમ આધારે કોમ્પ્યુટર ગેમ્સ વિકસાવવા પણ અનુરોધ કર્યો હતો.
➡️પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર થયેલી એપ ઇનોવેશન ચેલેન્જને મળેલી સફળતાની પણ માંડીને વાત કરી હતી. ચેલેન્જના એપ એવોર્ડ વિજેતાઓને બિરદાવતાં તેમણે સ્પર્ધકો દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ઉપયોગી એપની સમજ આપી હતી
➡️સપ્ટેમ્બર મહિનાને ન્યુટ્રિશન મન્થ તરીકે મનાવવામાં આવશે તેની યાદ અપાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ આંદોલનમાં લોકભાગીદારી ખુબ મહત્વની છે. વર્ગખંડો સુધી પથરાયેલા ન્યૂટ્રિશ અભિયાનની સમજ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ન્યૂટ્રિશન મંથની ઉજવણી કરતી વખતે માયગવ પોર્ટલ પર વિવિધ ક્વિઝ અને મીમ સ્પર્ધાઓનું પણ આયોજન થશે.
➡️સપ્ટેમ્બર મહિનામાં ન્યૂટ્રિશન મંથની ઉજવણી થશે તે અનુસંધાનમાં પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે આવેલા ન્યૂટ્રિશન પાર્કની પણ યાદ અપાવી હતી. પાર્કની મુલાકાત લઇને ન્યૂટ્રિશન અંગેની જાણકારી રમતા રમતા મેળવી શકાય છે.
➡️સ્વતંત્રતા પર્વે બનેલી એક અનોખી ઘટના તરફ પણ પ્રધાનમંત્રીએ દેશવાસીઓનું ધ્યાન દોર્યું હતું. તે પ્રસંગે સૈન્યની ડોગ સ્કોડના બે શ્વાન સોફી અને વિદાને ચીફ ઓફ આર્મી સ્ટાફ પ્રશસ્તિ કાર્ડથી નવાજવમાં આવ્યા હતા. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને દેશની સુરક્ષા ઉપરાંત પોલીસ તપાસમાં શ્વાનની ભૂમિકાની છણાવટ કરતાં પ્રધાનમંત્રીએ વિવિધ બ્રિડના શ્વાન વિશે વિસ્તારથી વાત કરી હતી.
➡️પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી થવાની છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષ 2022માં દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે. પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસે વિદ્યાર્થીઓને આઝાદીના લડવૈયાનો પરિચય કેળવવા અનુરોધ કર્યો હતો.
➡️પ્રધાનમંત્રીએ દેશવાસીઓ કોરોનાને પરાજીત કરે તેવી કામના કરતાં જણાવ્યું હતું કે કોરોના ત્યારે જ હારશે કે જ્યારે તમે સુરક્ષિત હશો.
➡️પ્રધાનમંત્રીએ બે ગજની દૂરી જાળવીને ,માસ્ક ધારણ કરીને બધા સ્વસ્થ રહે, સુખી રહે તેવી કામના કરી હતી.
