કેન્દ્રીય પરિવહન મંત્રીએ બન્ને ગૃહોમાં વાહન સ્ક્રેપ પોલીસી મુદ્દે જવાબ આપ્યા
Live TV
-
બજેટ સત્રના બીજા તબક્કામાં આજે રાજ્યસભા અને લોકસભામાં વિવિધ બિલ પર ચર્ચા થઈ છે. આજે કેટલાક બિલ પણ ગૃહમાં રજૂ થયા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ બન્ને ગૃહોમાં વાહન સ્ક્રેપ પોલીસી મુદ્દે જવાબ આપ્યા છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ બીલનો ઉદ્દેશ તબક્કાવાર રીતે નબળી ગુણવત્તા ધરાવનારા વાહનોને દૂર કરવાની સિસ્ટમ બનાવવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે પ્રદૂષણ ફેલાવનાર વાહનોમાં ઘટાડો કરવાથી ઓટો-મોબાઇલ ક્ષેત્રમાં મોટો ફેરફાર આવશે તથા આનાથી વાહનોના બળતણ વપરાશમાં ઘટાડો થશે, ઉદ્યોગો માટે ઓછા ભાવે કાચા માલની ઉપલબ્ધતામાં વધારો થશે આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટીમાં વધારો નોધાશે. ભારત આગામી પાંચ વર્ષમાં ઓટો-મોબાઇલ ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરશે અને આગામી એક વર્ષમાં, 100% લિથિયમ આયન બેટરીનું સ્વદેશી ઉત્પાદન કરવામાં આવશે. તેમણે સંસદસભ્યોના મતક્ષેત્રોમાં વાહનો માટે ફીટનેસ કેન્દ્રો અને ડ્રાઇવિંગ સેન્ટરો બનાવવામાં પણ સહયોગ માંગ્યો હતો. તો આ પ્રસંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર જુદાં જુદાં મંતવ્યોવાળા લોકોનો આદર કરે છે, પરંતુ મુદ્દો સોશિયલ મીડિયાના ઉપયોગનો નથી, પરંતુ તેના દુરૂપયોગનો છે તથા સરકાર કેટલીક કંપનીઓના ઇન્ટરનેટ સામ્રાજ્યવાદના નિર્માણના પ્રયત્નોને ક્યારેય સ્વીકારશે નહી.