કેન્દ્ર સરકારની જાહેરાતઃ સરકારી નોકરીમાં બિનઅનામત વર્ગને 10% અનામત
Live TV
-
કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા બિનઅનામત વર્ગો માટે 10 ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. આ હેઠળ અત્યાર સુધીમાં અનામતની શ્રેણીમાં નહીં આવતાં લોકો આ અનામતનો લાભ લઈ શકશે. જેથી હવે સરકારી નોકરીમાં અને શૈક્ષણિક સંસ્થાનોમાં આર્થિક રીતે નબળા બિનઅનામત વર્ગોને 10 ટકા અનામત મળશે.
બંધારણમાં સંશોધન માટે લોકસભામાં બિલ મુકાશે. મહત્વનું છે કે, આર્થિક રીતે નબળા બિનઅનામત વર્ગના ઉત્થાન માટે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ આરક્ષણની કુલ સીમા નિર્ધારતી 50 ટકા થી વધીને 60 ટકા જેટલી થઈ જશે. ભારતીય બંધારણની અનુચ્છેદ 15 અને 16 સાથે સંકળાયેલ બાબત છે. અનુચ્છેદ 15 રાજ્યને સામાજિક અને શૈક્ષણિક પછાતપણાનાં આધાર પર વિશેષ વ્યવસ્થા કરવાની શક્તિ આપે છે, તો અનુચ્છેદ 16 તકની સમાનતાની વાત કરે છે.
1990 માં મંડલ કમિશનની ભલામણોનાં આધારે ઓબીસી વર્ગને પણ આરક્ષણ આપવાની વાત કરી નિર્ણય લેવાયો હતો. જેને પ્રખ્યાત ઈન્દ્રા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. છેલ્લા કેટલાકં વર્ષોથી બિન અનામત વર્ગો પણ આર્થિક અને અન્ય આધારો પર અનામત મેળવવાની વાત કરી રહ્યાં છે, ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટે હાલમાં જાહેરાત કરવામાં આવી.
તે જ રીતે વર્ષ 2016 માં ગુજરાતમાં પણ આર્થિક પછાત વર્ગો માટે આરક્ષણની જાહેરાત કરવામાં આવી હતી, જેને ગુજરાત હાઈકોર્ટે બંધારણીય આધારો પર માન્ય રાખી ન હતી. ત્યારબાદ બિનઅનામત આયોગની રચના દ્વારા આર્થિક રીતે નબળા બિનઅનામત વર્ગોને સહાય કરવામાં આવી રહી છે. હાલમાં SC,ST,OBC ઉપરાંત સ્ત્રીઓ અને વિકલાંગો તેમજ સ્થાનિક કારણોનાં આધારે અનામત આપવામાં આવે છે.
