કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
Live TV
-
સ્થાનિક ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ડુંગળીની નિકાસ 8 ડિસેમ્બર, 2023થી 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવી છે. સરકારે ખરીફ આગમનમાં વિલંબ, ડુંગળીના નિકાસના જથ્થા અને તુર્કી, ઇજિપ્ત અને ઇરાન જેવા મોટા સપ્લાયર્સ દ્વારા લાદવામાં આવેલા વેપાર અને બિન-વેપાર પ્રતિબંધો જેવી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. ખેડૂતોને માઠી અસર ન થાય તે માટે સરકાર સતત ભાવ સ્થિરીકરણ ફંડ હેઠળ ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરી રહી છે.
ચાલુ વર્ષમાં સરકારે એનસીસીએફ અને નાફેડને બફર માટે 7 લાખ ટન ડુંગળીની ખરીદી કરવાનો નિર્દેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં, લગભગ 5.10 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી, અને બાકીના જથ્થાની ખરીદી ચાલુ છે. સરકાર દ્વારા ડુંગળીની ખરીદીનો ખુલ્લા બજારના વેચાણ અને ગ્રાહકોને સીધા છૂટક વેચાણ દ્વારા ઉંચા ભાવ બજારોમાં સતત નિકાલ કરવામાં આવે છે.
બફરમાંથી નિકાલ કરવામાં આવેલી 2.73 લાખ ટન ડુંગળીમાંથી આશરે 20,700 મેટ્રિક ટન ડુંગળી 2,139 રિટેલ પોઇન્ટ મારફતે 213 શહેરોમાં રિટેલ ગ્રાહકોને વેચવામાં આવી છે. આ બહુઆયામી હસ્તક્ષેપોને કારણે ડુંગળીનો અખિલ ભારતીય સરેરાશ છૂટક ભાવ 17 નવેમ્બરના રોજ 59.9 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 8 ડિસેમ્બરે 56.8 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, 29 મી ઓક્ટોબરના રોજ, સરકારે ડુંગળીની નિકાસ માટે ટન દીઠ 800 ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત (એમઇપી) લાદી છે અને સાથે સાથે ડુંગળીના બફર સ્ટોકનો નિકાલ કર્યો છે. એમઇપી ડુંગળીની નિકાસનું પ્રમાણ ઘટાડવામાં અસરકારક રહી હતી, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ અને ખરીફ પાકના આગમનમાં વિલંબને કારણે મોટા પ્રમાણમાં નિકાસ ચાલુ રહી હતી.
ગ્રાહકો અને ખેડૂતો બંનેના હિતમાં જરૂરી પગલાં લેવા માટે સરકાર ડુંગળીના પાકની ઉપલબ્ધતા અને કિંમતો પર ચાંપતી નજર રાખી રહી છે. પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન હેઠળ ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી ખેડૂતોને લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે અને ગ્રાહકોને વાજબી ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા માટે ઊંચા ભાવનાં બજારોમાં જથ્થાબંધ અને છૂટક એમ બંને પ્રકારનાં હસ્તક્ષેપો ચાલુ રહેશે.
