કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે PMએ કરી જાહેરાત, PM કેયર્સ ફંડમાંથી અપાશે સહાય
Live TV
-
કોરોના મહામારી સામે, આબાલ વૃદ્ધ સૌ ઝઝૂમી રહ્યાં છે ત્યારે, દેશની આગામી પેઢીના હિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડના કારણે અનાથ થયેલા બાળકોના હિતમાં નિર્ણય લેતા જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે ત્યારે જે બાળકોના માતા -પિતા કોરોના કાળમાં કોવિડના કારણે મૃત્યુ પામ્યા છે તેવા બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન અંતર્ગત નાણાકીય સહાય કરવામાં આવશે. આ બાળકો 23 વર્ષના થતા તેમને દસ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે. તેમજ 18 વર્ષ બાદ પાંચ વર્ષ સુધી માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ સાથે જ 18 વર્ષ સુધી પાંચ લાખના સ્વાસ્થ્ય વીમાની સુવિધા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આપવામાં આવશે. તો ઉજજ્વળ શિક્ષણ માટે માતા પિતાનું છત્ર ગુમાવી ચૂકેલા બાળકો નજીકના કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકશે. તેમજ પીએમ કેર ફંડ દ્વારા આ બાળકોને મફત શિક્ષણની સુવિધા પણ આપવામાં આવશે. ઉપરાંત, કોવિડના કારણે પરિવારના કમાનાર મોભીનું મૃત્યુ થયું હશે તો તે પરિવારને પણ કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ આશ્રિતોને પેન્શન આપવામાં આવશે. આગામી સમયમાં પરિવારની મદદ માટે અન્ય ઘોષણાઓ પણ કરવામાં આવશે. તેમજ ઇડીએલઆઇ યોજના હેઠળ વીમા લાભોને વધારવામાં તેમજ ઉદાર બનાવવામાં આવશે. દેશના નાગરિકોના હિતમાં કરાયેલી આ તમામ જાહેરાતોને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારી હતી.
