કોરોના મહામારીનું સંક્રમણ ખાળવા માટે વિવિધ રાજયોએ પગલા ભરવાનું કર્યું શરૂ
Live TV
-
કોરોના મહામારીનું સંક્રમણ ખાળવા માટે વિવિધ રાજયો એ પગલા ભરવાનું શરૂ કર્યું છે. તેલંગાણા સરકારે આવશ્યક સેવાને છોડીને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે. તેલંગાણા રાજયમાં વધુ 5 વ્યક્તિને સંક્રમણ થયાની પુષ્ટી થઇ છે. જેથી કોરોના વાયરસના 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આ તરફ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે લોકોને લોક-ડાઉનનું પાલન કરવા અને ઘરોમાં રહેવા અપીલ કરી છે. તેમજ અન્ય રાજયો સાથે જોડાયેલ સરહદો સીલ કરવામાં આવી છે.
રાજ્યમાં બસ, ટ્રેન અને મેટ્રો સહિત પરિવહન સેવાઓ બંધ કરવામાં આવી છે. તો આંધ્રપ્રદેશમાં કોવિડ-19ના સંક્રમણના એક કેસની પુષ્ટી થઇ છે. તે સાથે સંક્રમીતની સંખ્યા 6 થઇ છે. આંધ્રપ્રદેશ સરકારે 31 માર્ચ સુધી સરહદો સીલ કરી છે. સાર્વજનીક અને ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગુ કર્યો છે. જોકે મેડિકલ સ્ટોર, દુધ, કરિયાણાના સ્ટોર, ખુલ્લા રહેશે. તો આ તરફ બિહારમાં સ્કોટલેન્ડથી પરત ફરેલ 25 વર્ષનો યુવક સંક્રમીત માલુમ પડયો છે. તેને નાલંદા મેડિકલ કોલેજ , હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત નેપાળથી પરત ફરેલી 45 વર્ષની મહિલા સંક્રમીત છે તેને પટના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થામાં આઇસોલેશનમાં રખાઇ છે.
મુખ્યમંત્રી નીતિશકુમારે સંક્રમણનો ફેલાવો રોકવા બિહાર આવનાર તમામ ફ્લાઇટ રદ કરવા કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે. તો કેન્દ્ર શાસીત પ્રદેશ જમ્મુ-કાશ્મીર- શ્રીનગર અને લદાખ, લેહમાં 31 માર્ચ સુધી સંમ્પૂર્ણ બંધ જાહેર કરાયું છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બી.બી.આર.સુબ્રમણ્યમે રવિવારે સાંજથી લોક-ડાઉનનો આદેશ જાહેર કર્યો હતો.તેમણે વહીવટી તંત્રને આદેશનું કડક પાલન કરાવવા નિર્દેશ કર્યો છે. સરકારે જમ્મુના વિવિધ ભાગોમાં 12 આઇસોલેશન કેન્દ્ર સ્થાપીત કર્યા છે. જેમા કુલ એક હજાર, 225 બેડની સુવીધા છે. આ તરફ મહારાષ્ટ્ર રાજયમાં કોરોના વાયરસ પરીક્ષણ માટે વધુ ત્રણ કેન્દ્રોને મંજુરી અપાઈ છે. જેથી દરરોજ 600 પરીક્ષણ થઇ શકશે. શિક્ષણમંત્રી અમિત દેશમુખે જણાવ્યું હતું કે બે પરીક્ષણ કેન્દ્ર પુનામાં જ્યારે એક કેન્દ્ર મુંબઇમાં સ્થાપવામાં આવ્યું છે.
