કોરોના વાયરસ : ગૃહમંત્રાલયે 4 આંતરમંત્રાલય ટીમની કરી રચના
Live TV
-
દેશના અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચેન્નાઇ વિસ્તારમાં કરશે કામગીરી
ગૃહ મંત્રાલયે અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચેન્નાઇ માટે અધિક સચિવ સ્તરના અધિકારીની આગેવાની હેઠળ કેન્દ્રના વિવિધ મંત્રાલયોની ચાર વધારાની ટીમોની રચના કરી છે. મંત્રાલયે આ સ્થળે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, રાજ્યના અધિકારીઓને સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવા અને સામાન્ય લોકોના હિતમાં કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવા વિવિધ મંત્રાલયોની છ ટીમો બનાવી હતી.
આ ટીમો માર્ગદર્શિકા મુજબ લોકડાઉન પગલાને અમલમાં મૂકવા અને તેનું પાલન કરાવવા, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય, સામાજિક અંતર જાળવવા, આરોગ્ય માળખાકીય સુવિધા, આરોગ્ય કાર્યકરોની સલામતી અને મજૂરો અને ગરીબ લોકો માટે રાહત શિબિર સહિત વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મુંબઇમાં, કેન્દ્રિય ટીમે કોવિડ -19 ચેપગ્રસ્ત ન હોય તેવા દર્દીઓ માટે તબીબી સુવિધાઓની જોગવાઈ અંગે પણ ચર્ચા કરી છે. કેન્દ્રીય ટીમે બે થી ત્રણ હજાર લોકો માટે ક્વોરેન્ટાઇન સેન્ટરની વ્યવસ્થા અને જાળવણી કરવા અને સ્વયંસેવકોની મદદથી મોનિટરિંગ ટીમોની ક્ષમતા વધારવા સૂચન પણ કર્યું છે. મુંબઈની ધારાવીમાં સમુદાયના શૌચાલયોની સંખ્યા વધારવા માટે, પોર્ટેબલ શૌચાલય આપવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
