ખતરનાક બની શકે છે મોચા વાવાઝોડું: દક્ષિણ રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા
Live TV
-
દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર બનેલુ ઓછા દબાણનું ક્ષેત્ર ચક્રવાતમાં બદલાય તેવી આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ચક્રવાતી તોફાનને મોચા નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચક્રવાત મોચા શરૂઆતમાં 11 મે સુધી ઉત્તર, ઉત્તર પશ્ચિમની મધ્ય બંગાળની ખાડી તરફ વધશે અને પછી તેની દિશા બદલીને ઉત્તર, પૂર્વોત્તરમાં બાંગ્લાદેશ, મ્યાનમાર તટ તરફ વધશે. જે જોતા માછીમારોને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની સૂચના આપી છે. આ દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન તેમજ વરસાદ પડે તેવુ અનુમાન છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે ચક્રવાત મોચા જેમ આગળ વધશે તેમ તેમ દક્ષિણ રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ અંદમાન અને નિકોબાર દ્વિપ સમુહમાં પણ આજે ભારે વરસાદ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે નાના દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળવા જણાવ્યું છે. આ સાથે જ 12 મે સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પર્યટન અને શિપિંગને મર્યાદિત કરવા અને નજીકથી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ચક્રવાતથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવામાં આવશે.
