ગિલગિટ-બાલ્ટિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આદેશ સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
Live TV
-
પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન મુદ્દે આપેલા આદેશ સામે ભારતે પાકિસ્તાનના રાજદૂત સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતે 1947ના વિલય પ્રસ્તાવના આધારે સ્પષ્ટ કર્યું હતું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે.
ભારતે પાકિસ્તાની અધિકારી સૈયદ હૈદર શાહને જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા પચાવી પાડવામાં આવેલા ભારતના કોઈ પણ હિસ્સાનું સ્ટેટસ બદલવાનો કાનૂની આધાર નથી. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 1947ના વિલય પ્રસ્તાવ અનુસાર ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે 21 મેના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થાનિક અધિકારીઓ પાસેથી સત્તા લઈને પાકિસ્તાન સરકારને સત્તા સોંપવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિવેદનનો વિવિધ માનવ અધિકાર સંસ્થાઓએ પણ વિરોધ કર્યો હતો.
