જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય : શાંતિપૂર્ણ રીતે ખૂલી સ્કૂલ-કોલેજો
Live TV
-
ઈદ અલ અજહાની તૈયારીઓ માટે બજારમાં નીકળ્યા કાશ્મીરી લોકો, ખૂલી સ્કૂલ-કોલેજો
જમ્મુ - કાશ્મીરમાં છઠ્ઠા દિવસે સ્થિતિઓમાં ભારે સુધારો આવ્યો છે. શ્રીનગર શહેરમાં માર્ગ - વ્યવહાર સામાન્ય રહ્યો હતો. ઈદને કારણે બેન્ક, એટીએમ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જમ્મુ ક્ષેત્રના પાંચ જિલ્લામાં પ્રતિબંધો પૂરી રીતે દૂર કરી દેવામાં આવ્યા છે. રાજૌરી, પૂંછ, રામબન અને કિશ્તવાડા જિલ્લામાં પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે. પ્રતિબંધોમાં છૂટછાટ દરમિયાન સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. કોઈ અનિચ્છનીય ઘટનાના અહેવાલ નથી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દક્ષિણ કાશ્મીરના અનંત નાગની મુલાકાત કરી હતી અને ઈદના અનુસંધાનમાં સ્થાનિક નેતાઓ અને વેપારીઓ સાથે વાતચીત કરી હતી.
જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે પણ સ્થિતિ સામાન્ય રહી હતી. ધારા 144માંથી મળેલી છૂટ હેઠળ લોકોએ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી. લોકો ઈદ અલ અજહાની તૈયારીઓમાં લાગ્યા છે. કાશ્મીર ઘાટીમાં શુક્રવારે પ્રતિબંધમાં થોડી છૂટ આપવામાં આવી હતી કારણકે સ્થાનીક લોકો મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કરી શકે. અનુચ્છેદ 370ને હટાવ્યા પછી શુક્રવારે પહેલી જુમ્માની નમાજ અદા કરવામાં આવી હતી. શ્રીનગરમાં પણ ભારે સંખ્યામાં લોકો મસ્જિદ પહોંચ્યા હતાં. હાલ શ્રીનગરમાં હાલત સામાન્ય થવા લાગ્યાં છે. જેની અસર રસ્તાઓ પર પણ જોવા મળી છે.
આ બધા વચ્ચે લોકોને રોજબરોજની જરુરિયાતો પૂરી કરવા માટે છૂટ આપવામાં આવી છે. લોકો બજારમાં પહોંચી રહ્યાં છે. 12 ઓગસ્ટના રોજ ઈદ ઉલ અજહાનો તહેવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વાયદો કર્યો હતો કે તેઓ એ વાતનું ધ્યાન રાખશે કે કાશ્મીરીઓને ઈદનો તહેવાર ઉજવવામાં કોઈ જ મુશ્કેલી ન પડે. શ્રીનગરમાં દુકાનો, ડેરી, પેટ્રોલ પંપ અને મેડિકલ દુકાનો ખુલી છે. સામાન્ય લોકો સરળતાથી પોતાનું કામ પતાવી રહ્યાં છે. હજ યાત્રા પણ થોડા જ દિવસોમાં પૂરી થવાની છે. કાશ્મીર ઝોનમાં ડિવિઝનલ કમિશનર બીએ ખાને કહ્યું છે કે હજ યાત્રી પરત ફરી રહ્યાં છે. તેની જાણકારી રાજ્ય હજ ઓફિસ ડિપાર્ટમેન્ટ તરફથી ડેપ્યુટી કમિશ્નરને મોકલવામાં આવશે. જે યાત્રીઓ અને તેના પરિવારોને પાસ જાહેર કરશે.
આ બાજુ જમ્મુમાં પણ નમાજ અદા કરવા માટે લોકો ઉમટ્યા હતાં. કડક સુરક્ષા વચ્ચે મસ્જિદોમાં ભીડ જોવા મળી હતી. જમ્મુમાં હાલત સામાન્ય છે. અનુચ્છેદ 370 હટાવ્યા પછીથી કઠુઆ અને સાંબામાં હાલત હવે સામાન્ય થતાં જાય છે. સ્કૂલ-કોલેજ ફરી ખૂલવા લાગ્યાં છે. સાંબા અને કઠુઆમાં ગુરુવારે જ વહીવટી તંત્રએ આદેશ જાહેર કરીને સ્કૂલ કોલેજ ખોલવાના આદેશ આપ્યા હતાં. જે પછીથી આજથી જિલ્લાના અનેક સ્કૂલ કોલેજો ખુલી છે અને વિદ્યાર્થીઓ પણ આવવા લાગ્યાં છે. સ્કૂલ ખૂલવાથી બાળકો ખુશ લાગી રહ્યાં છે તો માતાપિતાને પણ સંતોષ છે. રાજ્યના પોલીસવડા મુનીર ખાને કઠુઆમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોઈ જગ્યા પર અનિચ્છનિય બનાવ નથી.
