31 ઓક્ટોબર સરદાર જયંતિના રોજ અસ્તિત્વમાં આવશે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ
Live TV
-
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવતાં બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. 31 ઓક્ટોબરના રોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીની તકે આ બન્ને કેન્દ્રશાસિત પ્રદેશ અસ્તિવમાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન કાયદાને મંજૂરી આપી છે. જે હેઠળ બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અસ્તિત્વમાં આવશે. 31 ઓક્ટોબરના રોજ દેશના પહેલા ગૃહમંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના દિવસે આ બન્ને કેન્દ્રશાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવશે. સંસદે આ રાજ્યને વિભાજીત કરવા માટે પસાર કરાયેલા વિધેયકને આ અઠવાડિયે જ મંજૂરી આપવામાં આવી હતી.
ગૃહમંત્રાલયે એક અધિસૂચનામાં કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠન અધિનિયમ, 2019 દ્વારા પ્રદત્ત શક્તિઓને અનુરુપ, કેન્દ્ર સરકારે આ માટે 31 ઓક્ટોબર, 2019ની તારીખ નિર્ધારીત કરી છે. આ વિધેયક અનુસાર જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં પુડ્ડુચેરીની જેમ જ વિધાનસભા હશે અને લદ્દાખ, ચંદીગઢની જેમ વિધાનસભા વગર કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.
આ બન્ને કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદા અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર પાસે રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ઉપરાજ્યપાલ હશે અને તેની વિધાનસભાની મર્યાદા 107 હશે. જેને સીમાંકન પછી 114 સુધી વધારવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલ અને લેહ જિલ્લા રહેશે.
