જવાદ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યુઃ વિશાખાપટ્ટનમથી 230 કિમી દુર
Live TV
-
જવાદ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં બંગાળની ખાડીમાં મધ્ય પશ્ચિમ દિશામાંથી પસાર થઈને ઉત્તર દિશા તરફ આગળ વધ્યુ હતું. છેલ્લા 6 કલાકમાં વાવાઝોડાની ઝડપ 4 કિમી પ્રતિ કલાકની રહી હતી. ભારતીય હવામાન વિભાગે એક ટ્વિટ કરીને આપેલી જાણકારી મુજબ, સવારે 5.30 વાગ્યાની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું વિશાખાપટ્ટનમથી દક્ષિણ-પૂર્વ દિશામાં 230 કિમી દુર છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય સંકટ વ્યવસ્થાપન સમિતિની બીજી બેઠકમાં, જવાદ ચક્રવાતનો સામનો કરવા રાજ્યો, કેન્દ્રિય મંત્રાલયો, અને એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ચક્રાવાત ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓડિસાના દરિયાઈ કિનારે ટકરાવાની સંભાવના છે. ત્યારબાદ ચક્રવાત ફંટાઇને પશ્ચિમ બંગાળના કિનારા તરફ આગળ વધશે. જવાદ વાવાઝોડાને પગલે આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લા વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને શ્રીકાકુલમમાં 11 NDRF, 5 SDRF અને 6 કોસ્ટ ગાર્ડની ટીમો સહિત 10 દરિયાઈ પોલીસ દળની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ ત્રણેય જિલ્લાઓમાંથી 54 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
ચક્રવાતને કારણે ભારે વરસાદ, સમુદ્રના મોજા સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિસા, અને અંદમાન-નિકોબાર ટાપૂના મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓએ રાષ્ટ્રીય સંકટ વ્યવસ્થાપન સમિતિને તેમના દ્વારા કરવામાં આવેલ પ્રારંભિક ઉપાયોથી માહિતગાર કર્યા હતા.