ડુંગળીની અછતને પહોંચી વળવા સરકારે વિદેશમાંથી ડુંગળીની આયાત કરવાની કરી જાહેરાત
Live TV
-
બજારમાં ડુંગળીની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. આ વખતે ચોમાસું એક મહિનો મોડું બેઠુ હોવાથી ડુંગળીની લણણીમાં પણ મોડું થતા તેના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે.
જેના પગલે બજારમાં નવી ડુંગળી આવવામાં મોડું થઈ રહ્યું છે. ડુંગળીના મુખ્ય ઉત્પાદક રાજ્યો કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વધુ વરસાદ થયો હોવાથી પણ ડુંગળીના પાકને નુકશાન થયું હોવાથી બજાર સુધી ડુંગળી પહોંચવામાં વાર લાગતા ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે, જેની સીધી અસર ગ્રાહકોને થઈ રહી છે.
ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે અને તેની ઉપલબ્ધતા બજારમાં વધારવા માટે સરકારે પહેલી વાર 57,000 ટનનો બફર સ્ટોક બનાવ્યો હતો અને રાજ્યોને સસ્તા ભાવે ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી.
29 સપ્ટેમ્બરે સરકારે ડુંગળીની નિકાસ પર સંપૂર્ણપણે રોક લગાવી દીધી હતી અને ડુંગળીના સંગ્રહ પર પણ રોક લગાવી હતી, જેના અંતર્ગત હોલસેલ વિક્રેતા 25 ટન અને રિટેલ વ્યાપારીઓ 5 ટનથી વધુ ડુંગળીનો સંગ્રહ કરી શકશે નહી તેવી જાહેરાત કરાઈ હતી.
ડુંગળીની અછતને પહોંચી વળવા માટે સરકારે એકવાર ફરીથી વિદેશમાંથી ડુંગળીની આયાત કરવાની જાહેરાત કરી છે. 6090 ટન ડુંગળી ઈજિપ્તથી અને 11000 ટન ડુંગળી તુર્કીથી મંગાવવામાં આવશે.
