દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતી કાબુમાંઃ અમિત શાહ
Live TV
-
દિલ્હીના પૂર્વોત્તર વિસ્તારોમાં મંગળવારે થયેલી હિંસાની ઘટનાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંજે હાલની સ્થિતિ પર ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ., દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. પોલીસ આયુક્ત અમુલ પટનાયક તેમજ રાજકીય પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજધાનીમાં હિંસાની ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય સંપૂર્ણ રીતે સક્રીય છે. અને આ વિસ્તારોમાં શાંતી અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે વધુ સુરક્ષા દળની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં થયેલી હિંસાની કડક શબ્દોમાં નિંદા કરી હતી. સાથે જ તમામ પક્ષના નેતાઓને સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે. અમિત શાહે કહ્યું કે, તમામ રાજકીય પક્ષો રાજનીતિની ઉપર ઉઠીને જનતામાં ફેલાયેલા ભય અને અફવાના માહોલને દૂર કરે.,. અમિત શાહે દિલ્હી પોલીસને સ્થાનિક શાંતી સમિતી સાથે મળીને લોકો સાથે એક સંવાદ પ્રક્રિયા શરૂ કરવા અને તેમનામાં વિશ્વાસનો માહોલ ઉભો કરવા તાકીદ કરી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પૂર્વ દિલ્હીનાં હિંસા પ્રભાવીત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અજીત ડોભાલે મોડી રાતે સીલમપુરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. ડોભાલે ડીસીપી કચેરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં દિલ્હી ઉત્તર-પૂર્વના ડીસીપી., સ્પેશિયલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર એસ.એન.શ્રીવાસ્તવ, તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ દિલ્હીમાં થયેલી હીંસાને પગલે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ગુરૂ તેગબહાદુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાનું કહ્યું છે. સાથે જ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે.
