દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદ બેઠકનો આજથી થયો આરંભ
Live TV
-
દિલ્હીમાં ભારત-મધ્ય એશિયા સંવાદ બેઠકનો આજથી આરંભ થયો છે. કઝાખ્સ્તાન, કિર્ગિઝસ્તાન, તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રીઓ આ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે. વિદેશમંત્રી એસ.જયશંકરે બેઠકના ઉદઘાટન સત્રમાં બોલતા કહ્યું કે, આ બેઠકથી સહુને દ્વિપક્ષીય અને પ્રાદેશિક ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરવાની તક મળી છે. જયશંકરે કોવિડની બીજી લહેર વખતે આંતરરાષ્ટ્રીય સમુદાયે ખાસ કરીને કઝાખ્સ્તાન અને ઉઝ્બેકીસ્તાને આપેલા સમર્થન માટે આભાર માન્યો હતો. તેમણે ભારત દ્વારા 90 થી વધુ દેશોમાં મોકલવામાં આવેલી કોવિડની રસીની વિગતો આપી હતી.
વિદેશમંત્રીએ કહ્યું કે ભારત અને મધ્ય એશીયાના દેશોનો અફઘાનિસ્તાન અંગેનો અભિગમ સરખો છે. તેથી આપણે અફઘાન નાગરિકોને મદદ કરવાના ઉપાયો શોધવા જોઈએ. ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી અબ્દુલ અઝીઝ કમીલોવે જણાવ્યું કે ભારત મધ્ય એશિયાના દેશો માટે વિચારોના આદાનપ્રદાન માટે વર્ષ 2019 માં રચાયેલા આ મંચે અસરકારક કામગીરી કરી છે. આ મંચ, દિન -પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો છે.
