દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં બીઆરએસ નેતા કે.કવિતાની જામીન અરજી ફગાવાઈ
Live TV
-
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બીઆરએસ નેતા, કે. કવિતાની જામીન અરજી આજે ફગાવી દેવામાં આવી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ જામીન નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો.
જામીન અરજી પર સુનાવણી દરમિયાન ઇડી એ કહ્યું હતું કે, મની લોન્ડરિંગ કેસમાં તે એક મહિલા હોવાથી કે. કવિતાને જામીન આપવામાં કોઈ છૂટ આપી શકાય નહીં. કવિતા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ઇડી પર આરોપ લગાવ્યો હતો કે, તે તપાસ એજન્સી નહીં પરંતુ હેરાન કરતી એજન્સી બની ગઈ છે.
જ્યારે કોર્ટે પૂછ્યું કે શું તે વચગાળાની જામીન અરજી પર દલીલ કરી રહ્યા છે, કે નિયમિત જામીન અરજી પર, સિંઘવીએ કહ્યું કે તેઓ બંને પર દલીલ કરી રહ્યા છે. એડવોકેટ ઝોહેબ હુસૈન, ઇડી તરફથી હાજર રહીને સિંઘવીની દલીલો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો કે, તેઓ વચગાળાની અને નિયમિત બંને અરજીઓ પર દલીલ કરી રહ્યા હતા. હુસૈને કહ્યું કે કે. કવિતાએ તેના પુત્રની પરીક્ષા માટે વચગાળાના જામીન માંગ્યા હતા અને નિયમિત જામીન માટે સમાન સમયે દલીલ કરી શકાતી નથી.
કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટ દ્વારા 26 માર્ચે કે. કવિતાને 9 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) મુજબ. કવિતાએ 100 કરોડની ઉચાપત કરી હતી. હૈદરાબાદમાં દરોડા બાદ 15 માર્ચે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી.