દેશના 80.99 ટકા કોરોના કેસ નોંધાય છે આ 10 રાજ્યોમાંથી, જાણો કયા છે આ રાજ્ય
Live TV
-
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસમાં સતત વધારો, દેશભરના 80.99 ટકા કોરોના કેસ માત્ર આ 10 રાજ્યમાંથી જ નોંધાયા
અત્યારે દેશ તેમજ દેશની રાજધાની દિલ્હીમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે અન્વયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ સાથે જ તેમણે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા તેમજ કોરોનાની વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 61 હજારથી પણ વધારે નવા કેસ નોંધાયા છે અને 904 લોકોના મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે. દેશભરના 80.99 ટકા કોરોના કેસ માત્ર આ 10 રાજ્યમાંથી જ આવી રહ્યા છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના પણ 44 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાથી સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશ પોતાના નિવાસ સ્થાનેથી જ સુનાવણી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા દરેક અધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ કરવામાં આવ્યા છે, તેમજ તેમણે કોર ટીમ સાથે બેઠક પણ યોજી હતી.
દેશના અનેક રાજ્યમાં કોરોનાના કેસને કાબુમાં લેવા માટે રાત્રિ કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે હરિયાણામાં પણ કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. હરિયાણામાં આગામી આદેશ સુધી રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા 63 હજારથી વધુ કેસ સામે આવ્યા છે, જેથી ત્યાં 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
