દેશનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 121.06 કરોડને પાર
Live TV
-
છેલ્લા 24 કલાકમાં 73,58,017 રસી ડોઝના વહીવટ સાથે ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 121.06 કરોડ (1,21,06,58,262)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના ડેટા મુજબ આ 1,25,40,268 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,39,88,797 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 10,967 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.34% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
153 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 8,318 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 1,07,019 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.31% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,69,354 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 63.82 કરોડથી વધારે (63,82,47,889) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.88% છે જે છેલ્લા 13 દિવસથી 1% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.86% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 54 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 89 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.
