દેશમાં કોરોના વાયરસનાં કેસોમાં નોંધાઈ રહ્યો છે સતત ઘટાડો
Live TV
-
દેશમાં કોરોના વાયરસનાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 1 લાખ 636 કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાનાં નોંધાઈ રહેલા દૈનિક કેસોમાં છેલ્લા 61 દિવસમાં સૌથી ઓછા કેસ જોવા મળ્યા છે. ત્યાં બીજી બાજુ 1 લાખ 74 હજાર 399 દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા છે. દેશમાં સાજા થવાનો દર વધીને 93.94 ટકા થયો છે. દેશમાં હાલ કોરોનાનાં એક્ટિવ કેસની સંખ્યા 14 લાખ 1 હજાર 609 છે. છેલ્લાં 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કારણે 2 હજાર 427 લોકોના મૃત્યુ થયા છે. કેરળ અને તમિલનાડુમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાનાં કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાનાં કેસ 1 હજારની નીચે 848 કેસ નોંધાયા છે. જ્યારે 2 હજાર 915 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના કેસની વિગતે જોઈએ તો વડોદરામાં 191, અમદાવાદમાં 134, સુરતમાં 141, રાજકોટમાં 49, જૂનાગઢમાં 56, જામનગરમાં 31, ભાવનગરમાં 14, ગાંધીનગરમાં 09 કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના કારણે 12 લોકોનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યમાં સાજા થવાનો દર વધીને 96.58 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં ગઇકાલે 2 લાખ 26 હજાર 335 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ 1 કરોડ 84 લાખ 4 હજાર 656 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.
