દેશમાં કોરોના સંક્રમણના વધતા સંકટને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ અગત્યની બેઠકો કરી
Live TV
-
દેશમાં કોરોનાની સ્થિતિ અંગે આંતરીક બેઠક કરી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો
દેશમાં કોરોના સંક્રમણના વધતા સંકટને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ અગત્યની બેઠક કરી હતી. તેમણે સૌપ્રથમ દેશમાં કોવિડની સ્થિતિ અંગે આંતરીક બેઠક કરી હતી. તે પછી સૌથી વધુ સંક્રમણ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છતીસગઢ, ગુજરાત, કેરળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી સહિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો.
ઓક્સિજનના ઉત્પાદકો અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેલ સાધવા પર ભાર
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલ પણ ઓનલાઇન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્યોની સાથે સંપર્કમા છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દેશમાં ઓક્સિજનની વધતી માંગને પહોંચી વળવા પ્રમુખ ઓક્સિજન નિર્માતાઓ સાથે ચર્ચા - વિચારણા કરી હતી. બેઠકમાં પ્રધાનમંત્રીએ ઓક્સિજનના ઉત્પાદકો અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેલ સાધવા પર ભાર મૂક્યો હતો.
ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા રેલ્વે અને એરફોર્સને સોંપાઇ હોવાની વાત
બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા સુગમ બનાવવા રેલ્વે અને એરફોર્સને કામગીરી સોંપાઇ હોવાની વાત કહી હતી. પ્રધાનમંત્રીએ કોરોના મહામારી સામે લડવા દરેક રાજ્યોને એકજૂથ થવા હાકલ કરી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, જો સમગ્ર દેશ એકજૂથ હશે તો સંશાધનોની ખોટ નહીં વર્તાય. ઉપરાંત આવશ્યક દવાઓની જમાખોરી અને સંગ્રહખોરી કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરવા પણ પ્રધાનમંત્રીએ આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે તે માટે મિશન મોડમાં કામ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
