નવું સંસદ ભવન 21મી સદીના ભારતની આંકાક્ષાઓને કરશે પૂરું: PM નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હાલના સંસદ ભવનની નજીક નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કર્યુ હતું. નવા સંસદ ભવનના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની ખાસીયતો અને લોકતંત્રના મહત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણે દેશવાસીઓ મળીને આપણા નવા સંસદ ભવનને બનાવીશું અને એનાથી સુંદર અને પવિત્ર બીજું શું હોઇ શકે. જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે ત્યારે આ પર્વની સાક્ષાત પ્રેરણા આપણી સંસદની નવી ઇમારત બનશે. ભૂમિ પૂજનમાં સર્વધર્મ પ્રાર્થનાનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રિકોણીય ઇમારતમાં નિર્માણ થઈ રહેલ નવું સંસદ ભવન અનેક વિશેષ સુવિધાઓથી સજ્જ હશે. ભારતીય સંસ્કૃતિની પ્રાદેશિક કલા અને વાસ્તુકલાનું મિલન સ્થાન બની રહેશે. નવા સંસદ ભવનના નિર્માણ કાર્યમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ થશે અને પર્યાવરણ અનુકુળ કાર્યશૈલીને પ્રોત્સાહન આપવામાં આવશે. લોકસભા અને રાજ્યસભા માટે એક - એક ઇમારત ઉભી થશે. આવનારા 100 વર્ષોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ભવનનું નિર્માણ થશે.
