પંજાબના કરતારપુર કોરિડોરનો ઉપરાષ્ટ્રપતી વૈંકેયા નાયડુએ કર્યો શિલાન્યાસ
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુના હસ્તે પંજાબના ગુરૂદાસપુરના માન ગામમાં, કરતારપુર સાહિબ માર્ગ કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આગામી વર્ષે ગુરૂ નાનક દેવની પાંચસો પચાસમી જ્યંતિ પર્વના અનુસંધાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા સુધી આ કોરિડોરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અનુસંધાનમાં આધારશિલાનો કાર્યક્રમ ખૂબ મહત્વનો બની રહ્યો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે આ કોરિડોર તૈયાર થતાં શ્રદ્ધાળુ પાકિસ્તાનમાં રાવિ નદી તટે વસેલા કરતારપુરમાં ગુરૂદ્વારા દરબાર સાહિબ સરળતાથી પહોંચી શકાશે. રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તામંડળ દ્વારા, કેન્દ્રીય ભંડોળની મદદથી આ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ કેબિનેટ બેઠકમાં આ કોરિડોરને મંજૂરી આપી હતી, તેને પગલે, ગુરૂનાનકની પાંચસો પચાસમી જ્યંતિ સમારોહમાં નવા રંગો પૂરાયા છે. આ સમારંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરસીમરત કૌર બાદલ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ તેમજ અકાલી દળના વડા, પ્રકાશસિંહ બાદલ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
