પંજાબના લુધિયાણામાં ગેસ લીક થવાને કારણે 11ના મોત અને અન્ય ઘણા બીમાર
Live TV
-
પંજાબના લુધિયાણામાં આજે એક રહેણાંક વિસ્તારમાં ગેસ લીક થવાથી 11 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો બીમાર પડ્યા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે.
ડેપ્યુટી કમિશનર સુરભી મલિકે મીડિયાને જણાતા કહ્યું હતું કે, ગેસ લીક થવા માટે મેનહોલમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. લોકોના મોત ગેસની અસરથી થયા છે અને મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. ડેપ્યુટી કમિશનરે વધુમાં કહ્યું કે, સરકારે મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને બીમાર વ્યક્તિને 50,000 રૂપિયા અને મફત સારવારની જાહેરાત કરી છે.
સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને બોલાવવામાં આવ્યા છે તેમજ NDRFની વિશેષ ટીમ તપાસ કરશે કે કયા પ્રકારનો ગેસ લીક થયો છે.
પીડિતોને લુધિયાણાની સિવિલ હોસ્પિટલ અને સતગુરુ પ્રતાપ સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પંજાબના ગવર્નર બનવારી લાલ પુરોહિતે લુધિયાણા ગેસ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ આજે રાજભવન ખાતે મન કી બાતના 100મા એપિસોડના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જાહેર સભાને સંબોધી રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
