પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચાર બન્યો વેગવંતો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના શાહડોલ તથા ગ્વાલિયર ખાતે જનસભાને સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા હતા તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમની સરકાર આવશે તો યુવાનોને રોજગારી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું
આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના શાહડોલ તથા ગ્વાલિયર ખાતે જનસભાને સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ ફક્ત એક પરિવાર માટે જીવે છે અને નાગરિકોના ભવિષ્યને દાવ પર લગાડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ચૂંટણી મધ્યપ્રદેશનું ભવિષ્ય બદલવા માટે છે.રાજ્યમાં જે કામ બીજેપીએ માત્ર 15 વર્ષમાં કર્યું તે કામ કોંગ્રેસ બાવીસ વર્ષોમાં પણ કરી શકી નથી.તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે આ ચૂંટણી નાગરિકોના સારા ભવિષ્ય માટે છે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના અંબિકાપુર ખાતે પણ જનસભાને સંબોધન કર્યું હતું.જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે પ્રથમ ચરણના મતદાનમાં લોકોનો ઉત્સાહ ખૂબ જ સારો રહ્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંદૂક દેખાડી ડરાવનારને મતદાતાઓએ જોરદાર પછડાટ આપી હતી.પ્રધાનમંત્રીએ કહ્યું કે બસ્તરની જનતાએ મોટી માત્રામાં મતદાન કરીને બીજા ચરણના મતદાતાઓને પ્રોત્સાહિત કર્યા છે. તેમણે બીજા ચરણમાં પણ ભારે મતદાન કરવાનો લોકોને અનુરોધ કર્યો હતો. તો મધ્યપ્રદેશના દેવરી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જનસભાને સંબોધી હતી. રેલીને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો યુવાનોને રોજગારી આપવામાં આવશે. નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે.
