પાકિસ્તાન આતંકનો નિકાસકાર દેશ : ઓમ બિરલા
Live TV
-
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદ અધ્યક્ષોના પાંચમા વિશ્વ સંમેલનને સંબોધતા પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
આતંકવાદને સમર્થન અને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની નીતિને ભારતે ફરી એકવાર વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જેના પ્રધાનમંત્રીએ વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો છે. વિશ્વભરની સંસદોના સ્પીકર્સના વરચ્યુઅલ માધ્યમથી આયોજીત પાંચમા સંમેલનને સંબોધતાં ઓમ બિરલાએ આ નિવેદન આપ્યું હતું. સંમેલનમાં આતંકવાદ સાથે સંકળયેલા મુદ્દે ચર્ચા કરતાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પાકિસ્તાનના સ્પીકરના એક નિવેદનનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે પ્રતિબંધોના અમલ પર નજર રાખી રહેલી સંયુક્ત રાષ્ટ્રની એક ટીમે જણાવ્યું છે કે પાકિસ્તાન આતંકવાદની નિકાસ કરી રહ્યો છે. પાકિસ્તાનના 6000 થી વધુ નાગરિક આતંકવાદી પ્રવૃત્તિમાં લિપ્ત છે. સ્પીકરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને અલગ થલગ કરવું જોઇએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પોતે એ વાતનો સ્વીકાર કર્યો છે કે 40 હજાર આતંકવાદીઓ તેમની જમીન પર છે. લોકસભા સ્પીકરે એમ પણ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હમેશા રહેશે. સ્પીકરે કહ્યું કે અમે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને સમાપ્ત કરવા આહવાન કરીએ છીએ. પરંતુ ભારતની આ પહેલને નબળાઇ ના સમજવી જોઇએ.
