બિહારમાં પૂરપ્રકોપ, 443 સામૂહિક રસોડાના માધ્યમથી 3 લાખથી વધુ અસરગ્રસ્તોને ભોજનની સેવા
Live TV
-
બિહારના 16 જિલ્લા વધુ પ્રભાવિત , આસામમાં પૂરની સ્થિતિમાં સુધાર
બિહારમાં પુરપ્રકોપ યથાવત છે. રાજ્યના 16 જિલ્લા પુરનો સામનો કરી રહ્યા છે. 130 બ્લોક્સની એક હજાર 317 પંચાયતોના 81 લાખથી વધુ લોકો પુરપ્રકોપનો સામનો કરી રહ્યા છે. સંખ્યાબંધ નદીઓ હજીપણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જોકે કેટલીક નદીમાં પુરના પાણી ઓસરતાં આગામી એક બે દિવસમાં લોકોને પુરમાં થોડી રાહત મળવાની સંભાવના છે. મુંગેર ખાતે ગંગા સપાટીમાં સતત પાંચ દિવસથી વધારો થઇ રહ્યો છે. જિલ્લાના નીચાણ ધરાવતા વિસ્તારમાં વસી રહેલા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. શક્તિપીઠ ચંડી સ્થાનમાં પણ ગંગાનું પાણી પ્રવેશી ગયું છે. રાજ્યમાં મોટાપાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 443 સામુહિક રસોડાના માધ્યમથી 3 લાખ 15 હજાર લોકોને ભોજન પુરૂ પાડવામાં આવે છે. અત્યારસુધીમાં 9 લાખ 26 હજાર પરિવારોને પ્રતિ પરિવાર છ હજાર રૂપિયાની રાહત રકમ આપવામાં આવી છે. બીજી તરફ આસામમાં પુરની સ્થિતી સુધરી રહી છે. રાજ્યના 33 પૈકી હવે માત્ર ત્રણ જિલ્લા પુરપ્રકોપથી પ્રભાવિત છે. જનજીવન હવે સામાન્ય થઇ રહ્યું છે. વીતેલા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. આસામમાં પુરના કારણે કુલ 113 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન આસામમાં મધ્યમ વરસાદ થઇ શકે છે.
