પ્રધાનમંત્રીએ પીએમ-કિસાન યોજના હેઠળ આર્થિક લાભનો આઠમો હપ્તો જારી કર્યો
Live TV
-
પીએમ કિસાન યોજના અંતર્ગત ગુજરાતના 5479600 લાભાર્થી ખેડૂતોને રૂ. 11559276000 ટ્રાન્સફર કરવામાં આવ્યા, જયારે પહેલી વાર પશ્ચિમ બંગાળના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે
ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત એક વીડિયો કોન્ફરન્સ મારફતે દેશના 9,50,67,601 ખેડૂતોને તેમના આર્થિક લાભની કુલ 2,06,67,75,66,000 રૂપિયાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં હસ્તાંતરિત કરી હતી. આ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતના 54,79,600 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 11,55,92,76,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થી ખેડૂતો સાથે વાર્તાલાપ કરી દેશના અનેક ખેડૂતોના કામને બિરદાવી તેમની પ્રશંસા પણ કરી હતી. દેશના ખૂણે ખૂણાથી જોડાયેલા ખેડૂતોએ પણ તેમની આધુનિક ખેતી કે સજીવ ખેતી વિષે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલી વાર પશ્ચિમ બંગાળના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શક્યા છે. તેમણે કોરોનાની આ મહામારી દરમિયાન મુશ્કેલ સ્થિતિ અને સંજોગો વચ્ચે ખાદ્યાન્ન અને બાગાયતી પાકોનું વિક્રમજનક ઉત્પાદન કરનારા ખેડૂતોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પણ દર વર્ષે લઘુતમ ટેકાના ભાવમાં નવા વિક્રમ સર્જી રહી છે. એમએસપીમાં ડાંગરની ખેતીનો નવો વિક્રમ સર્જાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે અત્યાર સુધીમાં ગયા વર્ષની સરખામણીએ એમએસપી ખાતે ઘઉંના ઉત્પાદનમાં દસ ટકાનો વધારો નોંધાયો છે, તેમજ અત્યાર સુધીમાં ઘઉંના ઉત્પાદનમાંથી ખેડૂતોના બેંક ખાતામાં 58,000 કરોડ રૂપિયાની રકમ જમા કરી દેવાઈ છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સરકાર કૃષિ ક્ષેત્રમાં નવા સમાધાનો અને નવા વિકલ્પો પ્રદાન કરવા સતત પ્રયાસરત છે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું પણ આ પ્રકારનો એક પ્રયાસ છે. ઓર્ગેનિક ખેતી વધારે નફાકારક છે અને અત્યારે સમગ્ર દેશમાં યુવાન ખેડૂતો વધુને વધુ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, કોરોનાની આ મહામારીના સમયગાળા દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડની સમયમર્યાદા વધારવામાં આવી છે અને હપ્તાઓ 30મી જૂન સુધીમાં રિન્યૂ કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં બે કરોડથી પણ વધારે કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.
