પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશ પ્રવાસના બીજા દિવસે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી
Live TV
-
બાંગ્લાદેશ પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રીએ જેશોરેશ્વરી કાલી શક્તિપીઠ ખાતે પૂજન-અર્ચન કર્યું હતું અને બંગબંધુ સમાધિ સ્થળ પર શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે દેવી કાલીના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ સતખિરામાં જેશોરેશ્વરી કાલી શક્તિપીઠમાં પૂજા કરી હતી, જે એક પૌરાણિક પરંપરા અનુસાર 51 શક્તિપીઠોમાંની એક છે. પ્રધાનમંત્રીએ દેવી કાલીને સોનાના ઢોળ સાથેના ચાંદીનો હસ્તનિર્મિત મુકુટ અર્પણ કર્યો હતો. આ મુકુટ સ્થાનિક કારીગરો દ્વારા ત્રણ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે.
આ સાથે જ મિત્રતાનો હાથ લંબાવતા, પ્રધાનમંત્રીએ મંદિર સાથે સંકળાયેલા એક સામુદાયિક હોલ-ચક્રવાત સમયના આશ્રયસ્થાનના નિર્માણ માટે અનુદાનની ઘોષણા કરી છે. આ ઈમારતનો ઉપયોગ મંદિરની વાર્ષિક કાલી પૂજા અને મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવશે અને તમામ ધર્મોના વ્યાપક સમુદાય દ્વારા તેનો ઉપયોગ ચક્રવાતના સમયે આશ્રયસ્થાન તરીકે પણ કરવામાં આવશે.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ તુંગીપરામાં બંગબંધુ સમાધિ સ્થળ ખાતે શેખ મુજિબુર રહેમાનને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બંગબંધુ સમાધિ સ્મારક ખાતે કોઇ વિદેશી સરકારના વડાએ મુલાકાત લઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે ત્યાં બકુલનું વૃક્ષ રોપ્યું હતું. તેમના સમકક્ષ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બહેન શેખ રેહાના પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીની સાથે જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ સમાધિ સંકુલ ખાતે મુકવામાં આવેલી મુલાકાત પોથીમાં ટિપ્પણી લખી હતી. તેમણે લખ્યું હતું કે, “બંગબંધુનું જીવન બાંગ્લાદેશના લોકોના અધિકારો માટે, તેમની સહિયારી સંસ્કૃતિ અને તેમની ઓળખને જાળવી રાખવા માટે તેમણે કરેલા સ્વતંત્રતાના સંગ્રામને રજૂ કરે છે.”
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં મતુઆ સમુદાયના લોકોને સંબોધન પણ કર્યું હતું. સાંજે દિલ્હી માટે રવાના થયા પહેલા તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામીદની પણ મુલાકાત લેશે.
