પ્રધાનમંત્રીએ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી; કૃષિ કાયદાને લઈને સરકાર ચર્ચા કરવા તૈયાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી. 22 જાન્યુઆરીએ જાહેર કરાયેલા કેન્દ્ર સરકારના નિર્ણયોનું પુનરાવર્તન કર્યુ. ખેડૂતોના માત્ર એક ફોન પર સરકાર કૃષિ સુધાર બિલો પર ચર્ચા માટે તૈયાર હોવાનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી સહિત વિવિધ પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કૃષિ બિલ ઉપરાંતના વિવિધ મુદ્દા અંગે વાત કરવા માટે નાના પક્ષોને વધુ તક અને સમય આપવા પર ભાર મૂક્યો હતો. તેમજ મોટા પક્ષોને અવરોધ પેદા ન કરવા વિનંતી કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું છે કે સરકાર કૃષિ કાયદાને મુદ્દે ખુલ્લા મને આગળ વધી રહી છે. સંસદના બજેટ સત્રના સંદર્ભમાં બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રીએ ફરી કહ્યું કે કૃષિ મંત્રી વાતચીત માટે કોઇપણ સમયે ઉપલબ્ધ છે. બેઠકમાં 26મી જાન્યુઆરીની દુર્ભાગ્યપુર્ણ ઘટનાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિવિધ મુદ્દે સરકાર વિસ્તારપુર્વક ચર્ચા કરવા તૈયાર છે.
આ અંગે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર 11મા તબક્કાની યોજાયેલી મંત્રણા હેઠળ કૃષિ મંત્રીના પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનો સાથે વાત કરવા તૈયાર છે. તેમણે ખેડૂત સંગઠનોને આ પ્રસ્તાવનો સ્વીકાર કરી ચર્ચાનો દૌર આગળ વધારવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કૃષિ બિલ મામલે ખેડૂતોને ચર્ચા કરવા કૃષિમંત્રી માત્ર એક ફોન કોલ જેટલા દૂર હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ કોવિડ-19 રસીકરણની સફળ શરૂઆત બદલ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત અનેક સેક્ટરમાં વિશ્વમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે તેમ છે.
