પ્રધાનમંત્રીના 'મન કી બાત'ના 73માં સંસ્કરણનો સાર
Live TV
-
પ્રધાનમંત્રીનો કાર્યક્રમ 'મન કી બાત'ના 73માં અને 2021ના પ્રથમ સંસ્કરણનું આજે પ્રસારણ થયું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 73માં સંસ્કરણમાં તેમના વિચારી રજુ કર્યા છે. પ્રધાનમંત્રીએ 2021ના પ્રથમ એપિસોડમાં પોતાના વિચારો રજુ કરતા જણાવ્યું હતું કે, હું મન કી બાત કરૂં છું તો લાગે છે કે પરિવારની વચ્ચે છું. આપણા ખાટામીઠા અનુભવ, જીવન માટે બોધપાઠ જ મનકી બાત છે. આજે 2021ના જાન્યુઆરીનો અંતિમ દિવસ છે. તમે પણ મારી જેમ વિચારી રહ્યા હશો કે, આખો મહિનો વીતી ગયો. સમયની ગતિ આ જ છે. થોડા દિવસ અગાઉની જ વાત છે કે આપણે એક બીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપી, પોંગલ, મકર સંક્રાતિ, લોહરી, 23 જાન્યુઆરી નેતાજીની જયંતી પર પરાક્રમ દિવસ, 26 જાન્યુઆરી, બજેટ સત્ર જેવી ચીજો વચ્ચે એક વધુ કામ થયું. જે પદ્મ પુરસ્કારોની ઘોષણા છે.
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, ભૂમિગત સ્તરે કામ કરનારા અનસંગ હીરોઝને પદ્મ પુરસ્કાર આપવાની જે પરંપરા દેશમાં થોડા વર્ષ અગાઉ શરૂ થઈ હતી અને જે આજે પણ યથાવત્ છે. મારો તમને આગ્રહ છે કે એવા લોકો વિશે જાણો, તેમના વિશે પરિવારમાં ચર્ચા કરો. આ મહિને ક્રિકેટ પિચથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. શરૂઆતની નિષ્ફળતાઓ પછી ભારતની ટીમે ઐતિહાસિક વિજય મેળવ્યો. આપણી ટીમનું હાર્ડવર્ક પ્રેરણાદાયી છે.
પ્રધાનમંત્રીએ સાથે એ પણ કહ્યું કે, 26 જાન્યુઆરીએ તિરંગાના અપમાનને જોઈને દેશ ખૂબ દુઃખી થયો છે. આપણે આવનારા સમયને નવી આશા અને અપેક્ષાઓથી ભરવાનો છે. આપણે અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો છે અને આગળ પણ આપણે એમ જ કરવાનું છે. વર્ષની શરૂઆતની સાથે જ કોરોનાની વિરુદ્ધ લડાઈને પણ એક વર્ષ પુરું થયું છે. આપણા દેશનું રસીકરણ અભિયાન દુનિયામાં ઉદાહરણ બની રહ્યું છે.
ભારત દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. આપણે દુનિયામાં સૌથી ઝડપથી પોતાના નાગરિકોને વેક્સિન આપી રહ્યા છીએ. માત્ર 15 દિવસમાં જ 30 લાખથી વધુ કોરોના વોરિયર્સને દેશમાં રસી અપાઈ ચૂકી છે. જયારે અમેરિકાને આ કામમાં 18 અને બ્રિટનને 36 દિવસ લાગ્યા હતા. નમો એપ પર યુપીથી હિમાંશુ યાદવે લખ્યું છે કે મેડ ઈન ઈન્ડિયા વેક્સિનથી મનમાં આત્મવિશ્વાસ આવી ગયો. મદુરાઈથી કિર્તીજીએ લખ્યું છે કે અનેક વિદેશી દોસ્તોએ લખ્યું કે ભારતે જે રીતે કોરોના સામે લડાઈમાં દુનિયાની મદદ કરી, તેનાથી તેમના મનમાં ભારતની ઈજ્જત વધી ગઈ છે.
પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, હાલમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ જે રીતે ભારતનો આભાર માન્યો, તેનાથી દરેક ભારતીયને કેટલું સારૂં લાગે છે. ભારતીયોને રામાયણના એ પ્રસંગની ઊંડી જાણકારી છે, તેની અસર છે અને એ આપણી સંસ્કૃતિની વિેશેષતા છે. સંકટમાં ભારત દુનિયાની સેવા એટલા માટે કરી શકે છે, કેમકે આપણે દવાઓ અને વેક્સિનને લઈને આત્મનિર્ભર છીએ. જેટલા આપણે આત્મનિર્ભર થઈશું, એટલી જ દુનિયાની અને માનવતાની સેવા કરી શકીશું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, 23 વર્ષની પ્રિયંકા બિહારના સિવાનમાં રહે છે અને હિન્દી સાહિત્યની વિદ્યાર્થિની છે. તે દેશના 15 પ્રવાસન સ્થળો પર જવાના મારા સૂચનથી પ્રેરિત હતી. 1 જાન્યુઆરીએ તે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના પૈતૃક નિવાસ સ્થાને ગઈ હતી. તેણે લખ્યું હતું કે દેશની મહાન વિભૂતિઓને જાણવામાં તેનું આ પ્રથમ પગલું હતું. આપનો આ અનુભવ અન્યોને પ્રેરિત કરશે.નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું તમામ દેશવાસીઓ અને યુવાનોને આહ્વાન કરૂં છું કે દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિશે લખો. તમારું લેખન આઝાદીના નાયકો પ્રત્યે ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. યંગ રાઈટર્સ માટે ઈન્ડિયા-75 અંતર્ગત એક પહેલ થઈ રહી છે. તેનાથી તમામ રાજ્યો અને ભાષાઓના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશને નવા લેખકો મળશે. તેનાથી ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા થૉટ લીડર્સનું ગ્રૂપ પણ બનશે.
પ્રધાનમંત્રીએ હૈદરાબાદના બોઈનપલ્લીના એક શાકમાર્કેટનો ઉલ્લેખ કર્યો. ત્યાં વધેલા શાકભાજીમાંથી વીજળી બનાવવામાં આવે છે. તેમણે કહ્યું કે નકામા શાકભાજીથી વીજળી બનાવવા અંગે તમે કદાચ સાંભળ્યું હોય. આ જ ઈનોવેશન છે, કચરામાંથી કંચન બનાવવું એ આને કહે છે. રોજ ત્યાં 10 ટન કચરો નીકળે છે. તેનાથી દરરોજ વીજળી બને છે. એવું જ હરિયાણાના બડૌદમાં કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતોએ સમગ્ર ગામમાંથી આવતા ગંદા પાણીને ફિલ્ટર કરવાનું શરૂ કરી દીધું અને તેનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે કરાઈ રહ્યો છે. પર્યાવરણની રક્ષાથી કઈ રીતે આવકના માર્ગ ખુલે છે, તેનું ઉદાહરણ અરૂણાચલના તવાંગમાં જોવા મળ્યું. અહીં એક પેપર બનાવવામાં આવે છે. ઝાડની છાલમાંથી આ પેપર બને છે. તેના માટે વૃક્ષોને કાપવા પડતા નથી અને ન તો કેમિકલનો ઉપયોગ થાય છે. આ પર્યાવરણ માટે સુરક્ષિત છે અને આરોગ્ય માટે પણ. ક્યારેક તેની નિકાસ પણ થતી હતી પણ પછી આ સ્થાનિક કલા બંધ થવા લાગી. હવે એક સ્થાનિક કાર્યકર્તાએ આ કલાને પુનર્જિવિત કરવાનું કામ શરુ કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ સુધીની નોનસ્ટોપ ફ્લાઈટ ભારતની ચાર મહિલા પાઈલટોએ સંભાળી હતી. 10 હજાર કિલોમીટરની ફ્લાઈટ સુરક્ષિત પહોંચી. આ વર્ષે 26 જાન્યુઆરીની પરેડમાં પણ બે મહિલા પાયલટોએ ઈતિહાસ સર્જ્યો. અનેકવાર ગામોમાં આવા પરિવર્તનની ચર્ચા થઈ શકતી નથી.મધ્યપ્રદેશના જબલપુરના એક સમાચારનો ઉલ્લેખ કરવા માગું છું. ચિજગાંવમાં આદિવાસી મહિલા રાઈસ મિલમાં કામ કરતી હતી. કોરોના મહામારીમાં એ મહિલાઓને પણ અસર થઈ. રાઈસ મિલમાં કામ અટકી ગયું. આ મહિલાઓ નિરાશ ન થઈ. તેમણે નક્કી કર્યુ કે સાથે મળીને રાઈસ મિલ શરૂ કરીશું. જે મિલમાં કામ કરતી હતી એ લોકો મશીન વેચવા માંગતા હતા. મીનાજીએ સ્વયં સહાયતા સમૂહ બનાવ્યું અને પોતાની બચતમાંથી રાઈસ મિલ ખરીદી લીધી. આ મિલે આજ સુધીમાં લગભગ 3 લાખ રૂપિયાનો નફો પણ કમાઈ લીધો છે. આનાથી મીનાજી અને તેમની સાથી મહિલાઓએ બેંકની લોન ચૂકવવા અને વ્યાપાર વધારવાનો નિર્ણય કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો હું તમને બુંદેલખંડ વિશે વાત કરૂં તો તમે શું કહેશો. ઈતિહાસમાં રસ ધરાવતા લક્ષ્મીબાઈ સાથે તેને જોડશે, કેટલાક ઓરછા અને કેટલાક ગરમી સાથે તેને જોડશે. આ દિવસોમાં અહીં કંઈક અલગ થઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ ઝાંસીમાં એક મહિના સુધી ચાલનારો સ્ટ્રોબેરી ફેસ્ટિવલ શરૂ થયો. સૌ આશ્ચર્યચકિત છે કે સ્ટ્રોબેરી અને બુંદેલખંડ? ઝાંસીની દીકરી ગુરલીન ચાવલાએ તેમાં ભૂમિકા નિભાવી છે. લૉની આ વિદ્યાર્થિનીએ પ્રથમ પોતાના ઘર અને પછી ખેતરમાં સ્ટોબેરી ઉગાડીને એ જણાવ્યું કે ઝાંસીમાં પણ સ્ટ્રોબેરી થઈ શકે છે. ટેરેસ ગાર્ડન પર યુવાનોને સ્ટ્રોબેરી ઉગાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. જો સ્ટ્રોબેરી ક્યારેક પહાડોની ઓળખ હતી, તે હવે કચ્છની રેતાળ જમીન પર પણ થઈ રહી છે.
થોડા દિવસ પહેલા જ મેં એક વીડિયો જોયો. આ વીડિયો બંગાળના વેસ્ટ મિદનાપુરના નવા પિંગલા ગામના ચિત્રકાર શમીનુદ્દીનનો હતો. તેઓ ખુશ હતા કે રામાયણ પર બનેલા પેઈન્ટિંગ બે લાખમાં વેચાયા. તેનાથી તેમના ગામવાસીઓને પણ આનંદ થયો છે. બંગાળ સાથે સંકળાયેલી સારી પહેલ અંગે પણ જાણકારી મળી. પર્યટન વિભાગની પ્રાદેશિક ઓફિસે મહિનાના પ્રથમ સપ્તાહમાં ઈનક્રેડિબલ ઈન્ડિયાની શરૂઆત કરી. ત્યાંના હસ્તશિલ્પ કલાકારોએ વિઝિટર્સ માટે વર્કશોપ આયોજિત કર્યો.
ઓડિશાના રૂરકેલાની ભાગ્યશ્રી એન્જિનિયરીંગની વિદ્યાર્થિની છે અને તેણે પટ્ટ શિલ્પકલામાં મહાવરો હાંસલ કર્યો. તેણે સોફ્ટ સ્ટોન પર પેઈન્ટિંગ શરૂ કર્યુ. તેણે કોલેજ જતી વખતે આ સ્ટોન મળ્યા હતા. તેણે દરરોજ તેના પર પેઈન્ટિંગ કર્યું અને પોતાના મિત્રોને ભેટ આપ્યા. લોકડાઉન દરમિયાન તેણે તેને બોટલો પર પેઈન્ટ કર્યું. સુભાષજીની જયંતી પર તેમણે અનોખી શ્રદ્ધાંજલિ આપી. ઝારખંડના ડુમકામાં મિડલ સ્કૂલના પ્રિન્સિપાલે બાળકોને ભણાવવા માટે ગામની દિવાલો પર અંગ્રેજી અને હિન્દી શબ્દો લખ્યા અને ચિત્રો બનાવ્યા હતા.
