પ્રધાનમંત્રીનો ભાજપના સાંસદોને પદ્મ પુરસ્કાર મેળવનાર પ્રતિભાઓના જાહેર કાર્યક્રમ યોજવા અનુરોધ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને પદ્મ પુરસ્કાર મેળવનાર પ્રતિભાઓના જાહેર કાર્યક્રમ યોજવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે સારું કામ કરનારા સામાન્ય નાગરિકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. બીજેપી સંસદીય દળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી સાંસદો સાથેની બેઠકમાં સંસદમાં નિયમિત બનવા અને સરકારની કામગીરીને લોકો સમક્ષ લઇ જવા પણ જણાવ્યું છે.
એક પ્રશ્નના જવાબમાં પ્રહલાદ જોશીએ કહ્યું કે, શા માટે રાજ્યસભાના 12 સભ્યોને સસ્પેન્ડ કરવા પડ્યા તેનો ખુલાસો થઈ ચૂક્યો છે. જે કંઈ પણ થયું તે સમગ્ર દેશમાં લોકોએ જોયું છે અને તે રેકોર્ડ પર છે. મંત્રીએ કહ્યું, જો તેઓ આજે પણ માફી માંગશે તો સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવશે. પ્રહલાદ જોશીએ માહિતી આપી કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પાર્ટીના જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખોને ઉત્તર પ્રદેશના કાશીમાં 14મી ડિસેમ્બરે બેઠકમાં બોલાવશે.
