પ્રધાનમંત્રી આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે દ્વીપક્ષીય વાર્તાલાપ કરશે
Live TV
-
પ્રધાનમંત્રીના બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાર્તાલાપ બાદ ભારત બાંગ્લાદેશ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા ત્યારે આજે પ્રધાનમંત્રીનો બાંગ્લાદેશ પ્રવાસનો બીજો દિવસ છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરશે અને બન્ને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય ચર્ચા થશે તેમજ આ વાર્તાલાપ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી આજે જસોરેશ્વરી મંદિરે દર્શન કરશે તેમજ ઓરાકંડીમાં મતુઆ સંપ્રદાયના સૌથી મોટા આસ્થા કેન્દ્રની પણ મુલાકાત લેશે અને મતુઆ સંપ્રદાયનાં લોકોને સંબોધન પણ કરશે. સાંજે દિલ્હી માટે રાવણ થયા પહેલા તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામીદની પણ મુલાકાત લેશે.
ગઈકાલે ઢાકામાં બાંગ્લાદેશનાં રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમને સંબોધીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ભારત બાંગ્લાદેશ સાથે પોતાનાં દ્વીપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને તેમાં વિવિધતા લાવવા માટે વચનબધ્ધ છે. તેમણે ખાતરી આપી હતી કે બાંગ્લાદેશની વિકાસયાત્રામાં ભારત મદદ કરવાનું ચાલુ રાખશે. વધુમાં તેમણે કહ્યુ કે, ભારત અને બાંગ્લાદેશ પાસે લોકતંત્રની શક્તિનાં સાથે ભવિષ્યની પરિકલ્પનાં પણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ વર્ષ 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર બંગબંધુ શેખ મુજિબુર રહેમાનને આપ્યો હતો જેને તેઓની નાની દિકરી શેખ રિહાનાએ સ્વીકાર્યો હતો. આ વિષય પર પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, દરેક ભારતીય માટે આ ગર્વનો વિષય છે કે અમને બંગબંધુ મુજિબુર રહેમાનને ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનીત કરવાનો અવસર મળ્યો છે.
આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશનાં 50 ઉદ્યોગપતિઓને ભારત આવવા અને સ્ટાર્ટઅપ પહેલમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
