બંગાળની ખાડીમાં ઉદ્ભવનાર ચક્રવાતનો સામનો કરવા રાજ્ય સરકારે તૈયારીઓની કરી સમીક્ષા
Live TV
-
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિએ બંગાળની ખાડીમાં ઉદ્ભવનાર ચક્રવાતને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા કેન્દ્રિય મંત્રાલયો, સંસ્થાઓ અને રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં હવામાન વિભાગના મહાનિર્દેશકે બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપી હતી. જે શુક્રવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે. 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ચક્રવાતી તોફાન શનિવારે સવારે આંધ્રપ્રદેશ તથા ઓડિસાના દરિયાકિનારે અથડાય તેવી સંભાવના છે. આનાથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને વિજયનગરમ્ જિલ્લાઓ તથા ઓડિસાના દરિયાકાઠાના જિલ્લાઓ વાવાઝોડાથી પ્રભાવિત થશે. ઉપરાંત પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ, ઓડિસા, પશ્ચિમ બંગાળ અને આંદામાન -નિકોબારના મુખ્ય સચિવો તથા અધિકારીઓએ લોકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાની જાણકારી આપી હતી. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આ રાજ્યોમાં 32 ટીમો તૈનાત કરાઈ છે. લશ્કર તથા નૌકાદળના બચાવ-રાહત દળો જહાજો અને વિમાનો પણ તૈયાર રખાયા છે.