બંગાળ ચૂંટણી: પ્રધાનમંત્રી મોદી આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ચાર ચૂંટણી સભાઓને સંબોધશે
Live TV
-
પશ્ચિમ બંગાળમાં આગામી બે તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા જોરશોરથી પ્રચાર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે(19 એપ્રિલ) રાજ્યમાં ચાર જંગી રેલીઓને સંબોધિત કરશે. આ તમામ રેલીઓ આદિવાસી બહુલ મતવિસ્તારોમાં યોજાવાની છે.
પ્રધાનમંત્રીની પ્રથમ ચૂંટણી રેલી બાંકુરા જિલ્લાના બરજોરામાં સવારે 11 વાગ્યે યોજાશે. ત્યારબાદ અન્ય ત્રણ રેલીઓ યોજાશે, જેમાં બપોરે 12.45 કલાકે પુરુલિયામાં, બપોરે 2.45 કલાકે ઝારગ્રામમાં અને અંતે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના મેદિનીપુર ખાતે સાંજે 4.30 કલાકે સભા યોજાશે.
ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સમિતિના સભ્યએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી તેમની ચારેય રેલીઓમાં મુખ્યત્વે આદિવાસી સમુદાયોના મુદ્દાઓ પર ભાર મૂકી શકે છે, જેમને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની આગેવાની હેઠળની સરકાર છેલ્લા 15 વર્ષથી નજરઅંદાજ કરી રહી હોવાનો આક્ષેપ છે.
રાજ્ય સમિતિના સભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે, "પ્રધાનમંત્રી તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કથિત અપમાન અંગે ઉઠેલા વિવાદનો પણ ભારપૂર્વક ઉલ્લેખ કરી શકે છે. આ વિવાદ ત્યારે થયો હતો જ્યારે રાષ્ટ્રપતિ સંથાલ સમુદાય પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સેમિનારને સંબોધવા માટે પશ્ચિમ બંગાળની મુલાકાતે હતા."
આ સાથે જ, પ્રધાનમંત્રી તૃણમૂલ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરી શકે છે કે કેવી રીતે TMCએ અન્ય વિપક્ષી દળો સાથે મળીને 'મહિલા અનામત (સુધારા) વિધેયક'ને અટકાવવાના પ્રયાસો કર્યા હતા.
રાજ્યમાં પહેલેથી જ રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. શનિવારે(18 એપ્રિલ) રાત્રે રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રધાનમંત્રીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવાના હેતુથી લાવવામાં આવેલા બંધારણીય સુધારા વિધેયકના પડી જવા પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો હતો અને ભારતની મહિલાઓની માફી માંગી હતી.
બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે રાષ્ટ્રજોગ પ્રધાનમંત્રીનું સંબોધન 'આત્મ-દયા' અને 'દેખાડા'થી ભરેલું હતું. પાર્ટીએ આને મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વને હથિયાર તરીકે વાપરવાનો પ્રયાસ ગણાવ્યો છે, જેથી સીમાંકન (Delimitation)ના કાવતરા પર પડદો પાડી શકાય.
