બંદરો અને રાષ્ટ્રીય જળમાર્ગો પર ચોક્કસ ઉત્પાદન આધારિત સંગ્રહ સ્થાન ઉભા કરાશે
Live TV
-
કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયએ (MoPSW) વિવિધ બંદરો પર ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો અને વખારો બનાવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ અંતર્ગત બંદર ક્ષેત્રની નજીકમાં અને રાષ્ટ્રીય જળમાર્ગોની આસપાસમાં આવેલા મલ્ટિ મોડલ હેરફેર પાર્કોનું નિર્માણ કરવાનું જાણવામાં આવ્યું છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પાછળનો મૂળ ઉદ્દેશ સંગ્રહમાં થતી નુકસાની ઘટાડવાનો, પરિવહન ખર્ચ ઓછો કરવાનો અને અંતરિયાળ વિસ્તારોમાં માલના વિતરણની સુવિધાઓ પૂરી પાડવાનો છે.
MoPSWએ સીમેન્ટની વખારો, પ્રવાહી ટાંકીઓ, રસાયણની ટાંકીઓ, કોલ્ડ સ્ટોરેજ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સંગ્રહો, ફાર્માસ્યુટિકલ સંગ્રહો, ઓટો સ્પેરપાર્ટ્સ સહિત વિવિધ ઉત્પાદનો માટે, બંદરો ખાતે ચોક્કસ ઉત્પાદન આધારિત ગોદામો વિકસાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. બજારમાં મોટા વેપારીઓ અને ઉદ્યોગો પાસે તેમના પોતાના જ ગોદામો અને સંગ્રહની જગ્યાઓ હોય છે, જ્યારે નાના વેપારીઓ અને ઉદ્યોગો પાસે તેમના ચોક્કસ ઉત્પાદનોના સંગ્રહ માટે વિવિધ સ્થળે વખારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. આ ગોદામો અને વખારો બનવાથી, નાના ખેલાડીઓને સારી સુવિધા અને ઇન્વેન્ટરી વ્યવસ્થાપન સાથે તેમના ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’માં પણ ખૂબ જ મોટો વેગ મળશે. નાના ઉદ્યોગોને નજીવી કિંમત ચુકવીને આ વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થશે. હાલમાં માલથી ભરેલી ટ્રકોને બંદરો નજીક યોગ્ય સંગ્રહ માટેની જગ્યા શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યારે આ વિકલ્પ ઉભો થતા નાના ઉદ્યોગોને અત્યંત લાભ થશે. આનાથી પરંપરાગત ગોદામોની સરખામણીએ નુકસાનમાં ઘટાડો થશે અને મજબૂત તેમજ ઓછી ખર્ચાળ પૂરવઠા શ્રૃંખલા પૂરી પાડી શકાશે.
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “અમે ‘પે એન્ડ યુઝ મોડલ’ના આધારે ચોક્કસ ઉત્પાદનો માટે એવા વિશ્વ કક્ષાના એકત્રીકરણ કેન્દ્રનું નિર્માણ કરવાના આયોજનમાં છીએ જેનાથી નાના વેપારીઓ અને પરિવહન ખેલાડીઓને ખૂબ જ મોટો લાભ થશે. તેનાથી તેમના માલસામાનની હેરફેર પરિવહનના સૌથી સસ્તા માધ્યમ એટલે સમુદ્ર અને જળમાર્ગો દ્વારા થઇ શકશે. આથી, આ એકત્રીકરણ કેન્દ્રોના કારણે દેશમાં એકંદરે પરિવહન ખર્ચમાં ધરખમ ઘટાડો આવશે અને તેનાથી સમુદ્ર કાંઠાના શિપિંગ દ્વારા આયાત-નિકાસના વેપારને પણ મોટો વેગ મળશે. તેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું પણ સર્જન થશે.”
2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મહત્વાકાંક્ષી સાગરમાલા કાર્યક્રમના ભાગરૂપે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હસ્તક્ષેપોની મદદથી હેરફેર ખર્ચમાં ઘટાડો કરવાનું લક્ષ્ય રાખે છે. દેશમાં બંદર આધારિત વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં મંત્રાલયનો આ એક મુખ્ય કાર્યક્રમ છે. જેનાથી દેશના 7,500 કિમી લાંબા દરિયાકાંઠાનો પૂર્ણ સંભાવનાઓ સાથે ઉપયોગ થઇ શકશે અને અંદાજે 21000 કિમી જળમાર્ગોનો પણ ઉપયોગ થઇ શકશે.
