ભારતીય વિદેશ મંત્રાલયે યુક્રેનનું ખારકીવ શહેર છોડવા ભારતીય નાગરીકોને આદેશ આપ્યો
Live TV
-
યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિમાં રશિયાએ કીવ બાદ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં હુમલા શરૂ કર્યા છે. દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને ખારકીવમાં રહેલા તમામ ભારતીયોને વહેલી તકે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, યુક્રેનના સમય મુજબ 6 વાગ્યા સુધીમાં ખારકીવમાં ફસાયેલા ભારતીયો સત્વરે ખારકીવ છોડીને નીકળી જાય. દૂતાવાસે જણાવ્યું હતું કે, ભારતીયો પેસોચીન, બબાએ તથા બેઝલ્યૂદોવકા તરફ પહોંચી જાય.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકાર પરિષદ યોજી હતી. બાગચીએ જણાવ્યું કે, અમારું અનુમાન છે કે અત્યાર સુધીમાં 17 હજાર ભારતીયો યુક્રેન છોડી ચૂકયા છે. જ્યારે 26 કલાક દરમિયાન 15 ફલાઇટમાં 3,352 ભારતીયો સ્વદેશ આવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગા હેઠળ હજી વિમાની સેવા વધારવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, પૂર્વ યુક્રેનના શહેરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે ત્યારે અમે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા બાબતે રશિયા સાથે પણ સંપર્ક કરીશું.
