મધ્યપ્રદેશમાં જ્યોર્તિલિંગ ધાર્મિક યાત્રા માટે શરુ કરાશે ખાસ એર ટેક્સી સેવા
Live TV
-
એક તરફ લોકસભા ચૂંટણી બાદ દેશમાં ફરી વખત નરેન્દ્ર મોદી 3.0 સરકારે કાર્યભાર સંભાળ્યો છે ત્યારે બીજી બાજુ મધ્યપ્રદેશમાં ડો. મોહન યાદવની સરકાર બુધવારે છ મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહી છે. આ પ્રસંગે મધ્યપ્રદેશમાં જ્યોર્તિલિંગ યાત્રા માટે ખાસ એર ટેક્સી સેવા શરુ કરવાની મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી હતી.
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની સરકાર છ મહિના પૂર્ણ કરવા જઈ રહી છે. વર્તમાન સરકારે 13 ડિસેમ્બરે સત્તા સંભાળી હતી. આ છ માસ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રીએ ખાસ પત્રકાર પરિષદ સંબોધી હતી. મોહન યાદવે જણાવ્યુ કે મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ અહીં આવનારા ધાર્મિક યાત્રિકોની સુવિધામાં વધારો કરવા જઈ રહ્યુ છે. જે અંતર્ગત પીએમશ્રી પ્રવાસન હેલી સેવા 13 જૂનથી શરુ કરાશે. આ ઉપરાંત પીએમશ્રી ધાર્મિક પ્રવાસન હેલી સેવા 16 જૂનથી શરુ કરાશે. આ સેવા અંતર્ગત ઉજ્જૈન-ઓમકારેશ્વર-ઈન્દોર-ભોપાલ વચ્ચે પ્રવાસન હેલી સેવા શરુ કરાશે. આ પ્રસંગે મોહન યાદવે પીએમશ્રી ટુરિઝમ એર સર્વિસ માટે ફ્લાઈટ બુકિંગ વેબસાઈટનું ડીજીટલ લોન્ચ પણ કર્યુ હતુ. પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ ભોપાલ-સિંગરોલી-જબલપુર-રીવા વચ્ચે એર ટેક્સીઓનું સંચાલન કરાશે. જેથી ધાર્મિક યાત્રા કરવામાં આવનારા યાત્રાળુઓનો સમય પણ બચશે.
