મહારાષ્ટ્ર: વિરારની કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગની દુર્ઘટના; 13 દર્દીના કરૂણ મૃત્યુ
Live TV
-
મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાનાં વિરાર વેસ્ટમાં સ્થિત વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલનાં બીજા માળે ICU વિભાગમાં રાત્રે 3 વાગે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોરોનાની સારવાર લઈ રહેલા 13 દર્દીઓનાં કરૂણ મોત નિપજ્યા છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. આગ લાગવાની ઘટનાના પગલે અમુક દર્દીઓને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા તપાસના આદેશ આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરારની કોવિડ હોસ્પિટલની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેઓએ શોક સંદેશમાં કહ્યું કે, વિરારની કોવિડ-19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના દુ:ખદ છે. મારી સંવેદનાઓ તેઓની સાથે છે, જેઓએ આ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. હું ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાં કરૂ છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરારમાં હોસ્પિટલમાં લાગેલી આગમાં જીવ ગુમાવનાર દર્દીનાં પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાયતા કોષમાંથી 2 લાખ રૂપિયાની મદદ કરવાની મંજૂરી આપી છે. તેમજ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
