રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લોકસભામાં જવાબ
Live TV
-
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણને દેશની જનતાનો પ્રતિધ્વનિ ગણાવ્યો
રાષ્ટ્રપતિના અભિભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચા પર જવાબ આપ્યો હતો. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણને દેશની જનતાનો પ્રતિધ્વનિ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક સશક્ત, સમૃદ્ધ અને વિકસીત રાષ્ટ્રનું સપનું જે દેશના અનેક મહાપુરુષોએ જોયું હતું તેને પૂર્ણ કરવા માટે તમામ લોકોએ સાથે મળીને વધારે તીવ્રતા અને સંકલ્પબદ્ધ રીતે કામ કરવાનું છે.
પ્રધાનમંત્રીએ કટોકટીના સમયને પણ યાદ કરતાં કહ્યું હતું કે, 25 જૂનની એ રાત્રે દેશના આત્માને કચડી નાંખવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે ભારતમાં લોકશાહી સદીઓથી અમારો આત્મા છે. કોઈની પાસેથી સત્તા છીનવાઈ ન જાય એટલા માટે તે આત્માને કચડી નાંખવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વખતે અમારી સરકારે જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે. દેશમાં જળસંકટને આપણે સૌએ ગંભીરતાથી લેવું જોઈએ અને જળસંચય પર ખાસ ધ્યાન આપવું પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં લોકોએ એક પ્રયોગના રૂપે સરકારને અવસર આપ્યો હતો. પરંતુ 2019ની ચૂંટણીની જીત સરકારના કામકાજને જોઈને જનતાએ લીધેલો નિર્ણય છે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણીને તેઓ હાર કે જીતના રૂપમાં નહીં પરંતુ 130 કરોડ ભારતીયોની સેવા કરવાના અવસરના રૂપમાં જુએ છે.
