વિશ્વ દિવ્યાંગ દિવસ: દિવ્યાંગ સશક્તિકરણની દિશામાં કાર્યરત લોકોને રાષ્ટ્રીય પુરસ્કાર
Live TV
-
આજે વિશ્વ દિવ્યાંગ જન દિવસ છે ત્યારે આ અવસરે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ દિવ્યાંગની વિકાસ અને કલ્યાણ માટે કાર્ય કરતી હસ્તીઓને, રાષ્ટ્રીય પુરસ્કાર સન્માનથી સમાન્તિ કર્યાં. આ અવસરે દિલ્લી વિજ્ઞાનભવનમાં આયોજીત કાર્યક્રમમાં, પ્રાસંગિત સંબોધન કરતાં વૈંકયા નાયડુએ જણાવ્યું કે, દિવ્યાંગોએ તેમની ઇચ્છાશક્તિથી શારીરિક અક્ષમતાને માત આપી ને ખેલકુદ સહિતના અનેક ક્ષેત્રે તેમની ક્ષમતાનો પરિચય આપ્યો છે, જે બિરદાવવા યોગ્ય છે. આ અવસરે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે દિવ્યાંગના કલ્યાણ માટેની સરકારી યોજના વિશે માહિતી આપી હતી.
આજે વિશ્વભરમાં દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ અને વડોદરા જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે, દિવ્યાંગ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે શહેરની વિવિધ સંસ્થાઓમાં એક સપ્તાહ સુધી, દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવશે. શહેરની કોઠી કચેરીથી બદામડી બાગ સુધી જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં દિવ્યાંગો માટે કાર્યરત 50 જેટલી સંસ્થાઓના સભ્યો પોસ્ટર, બેનર સાથે જોડાયા હતા. રેલીમાં ટ્રાઈસિકલ સહિતની ગાડીઓ સાથે મોટી સંખ્યામાં દિવ્યાંગો પણ જોડાયા હતા.
તો અમદાવાદ શહેરમાં યુનાઈટેડ નેશન્સ એસોસિએશન દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની આશ્રમ રોડ ખાતે આવેલ બહેરા-મૂંગા આશ્રમ શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેના દિવ્યાંગ બાળકો દ્વારા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. યુનાઈટેડ નેશન્સ એસોસિએશનનાં ગુજરાત એકમનાં પ્રેસિડન્ટ ભરત પંડ્યા, અને વાઈસ પ્રેસીડન્ટ ધનરાજ નથવાણી દ્વારા વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર દિવ્યાંગજનોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. દેશભરમાં 2.68 કરોડ દિવ્યાંગજનોનાં વિકાસમાં કેન્દ્ર સરકારે અનેકવિધ યોજનાઓને અમલમાં મૂકી છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનોને મળતા સહકાર અંગે સંસ્થાનાં પ્રમુખ બિપીન પટેલે આભાર માન્યો હતો.
