સંરક્ષણ મંત્રાલયઃ યાસ વાવાઝોડા માટે 16 વિમાન અને 26 હેલિકોપ્ટર તાત્કાલિક ધોરણે તૈનાત
Live TV
-
યાસ વાવાઝોડું બંગાળ અને ઓડિશાના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તે બુધવારે સાંજ સુધીમાં દિધા અને પારાદ્વિપ પહોંચી શકે છે. આ તોફાનની ગતિ ઉત્તરીય ખાડીમાં 120થી 160 કિમી પ્રતિ કલાકની હોય શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, વ્યાપક ફેલાવાના કારણે તે ભારે નુકશાન પહોંચાડી શકે છે. પૂર્વી-મધ્ય બંગાળની ખાડીમાં સર્જાયેલું ભારે દબાણ આજે વધુ ગાઢ બની ગયું છે. તેના કારણે 20 ફૂટ સુધી ઊંચી લહેરો ઊઠે તેવી સંભાવના છે. ચક્રવાતની અસરને પહોંચી વળવા માટે સશસ્ત્ર સેના દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે. ભારતીય વાયુસેનાના 15 માલવાહક વિમાનોએ જામનગર, વારાણસી, પટણા અને એર્નાકુલમથી એનડીઆરએફની ટીમના 950 કર્મચારીઓ અને 70 ટન સામગ્રી કોલકાતા, ભૂવનેશ્વર અને પોર્ટબ્લેર પહોંચાડવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, 16 વિમાન અને 26 હેલિકોપ્ટરને તાત્કાલિક ધોરણે તૈનાત કરવામાં આવ્યા છે. પૂર્વી કમાન્ડ અને આંદામાન નિકોબાર કમાન્ડની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે. આજે આ વિસ્તારોમાં વરસાદ શરુ થશે.
