સંસદની કાર્યવાહી કાલ બપોરનાં 2 વાગ્યા સુધી મુલત્વી
Live TV
-
મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે સંસદના બંને ગૃહોમાં ભારે સૂત્રોચ્ચાર અને શોરબકોરના દ્રશ્યો સર્જાયા બાદ સંસદના બંને ગૃહોની બેઠક મુલત્વી રાખવાની ફરજ પડી છે.
લોકસભાની બેઠક બપોરના 12 વાગ્યા સુધી મુલત્વી રખાયા બાદ ગૃહની બેઠક ફરી મળ્યા પછી સૂત્રોચ્ચાર યથાવત રહેતા અધ્યક્ષે બેઠક બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત રાખી હતી. અને રાજ્યસભાની બેઠક બપોરના 2 વાગ્યા સુધી મુલત્વી રખાઇ છે.
લોકસભાની બેઠક મળતાં જ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષના સભ્યો મહારાષ્ટ્રમાં સરકારની રચના તથા ત્યાંના રાજ્યપાલે ભજવેલી ભૂમિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતાં કરતાં અને પ્લે કાર્ડસ દર્શાવતા ગૃહના મધ્યમાં ધસી ગયા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કોંગ્રેસના સભ્યો દ્વારા દર્શાવાતા બેનરનો વિરોધ કરીને તે બેનરો ગૃહમાંથી દૂર કરવાની એક થી વધુ વખત સૂચના આપી હતી. ત્યારપછી શ્રી બિરલાએ માર્શલોને બોલાવીને બેનર દર્શાવતા સભ્યોને ગૃહની બહાર લઇ જવાનો આદેશ આપ્યો હતો આના પરિણામે હળવા સંઘર્ષના દ્રર્શ્યો સર્જાયા હતા. શોરબકોરના દ્રશ્યો ચાલુ રહેતા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી મુલત્વી રાખી હતી.રાજ્યસભામાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સાંસદોએ મહારાષ્ટ્રના મુદ્દે ગૃહમાં સભા મોકુફીની દરખાસ્ત લાવવાનો પ્રયાસ કર્યો અને સભાપતિ વેંકૈયા નાયડુએ તેને મંજૂરી આપી ન હતી. શ્રી નાયડુએ કહ્યું કે, આ બાબત ન્યાયાલયાધીન હોવાથી તેની ચર્ચા ગૃહમાં થઇ શકે નહિં. તેમણે આ અંગેના ગૃહમાં અગાઉ લેવાયેલા ચુકાદાને ટાંક્યા હતા. આના પગલે વિપક્ષના સભ્યોએ પોતાના બેઠક પરથી ભારે સૂત્રોચ્ચાર શરૂ કર્યો. કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાને સત્તા માટે મત મળ્યા હોવાનો દાવો કર્યો. જો કે સૂત્રોચ્ચાર સતત ચાલુ રહેતાં શ્રી નાયડુએ રાજ્યસભાની બેઠક બપોરના 2 વાગ્યા સુધી મુલત્વી રાખી હતી.
