સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા
Live TV
-
રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ
સંસદના બંને સદનમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. લોકસભામાં પ્રતાપ સારંગીએ આ પ્રસ્તાવને ચર્ચા માટે રજૂ કર્યો હતો. પ્રતાપ સારંગીએ રાષ્ટ્રપતિના અભિભાષણને અનુરૂપ વિશ્વાસ અપાવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાલની સરકાર 2022 સુધીમાં પોતાના તમામ નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરી લેશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીની નીતિઓ પર ચાલીને ભારત આગામી પાંચ વર્ષમાં એક નવી ઉંચાઇ હાંસલ કરશે. તો બીજી તરફ રાજ્યસભામાં ભાજપ સાંસદ જે. પી. નડ્ડાએ રાષ્ટ્રપતિના ધન્યવાદ પ્રસ્તાવને સદનમાં રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાલની સરકાર માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ગરીબો તેમજ દરેક વર્ગ માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર પર કામ કરશે. લોકસભામાં આજે ત્રણ મહત્વપૂર્ણ ખરડા રજૂ કરવામાં આવ્યા. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આધાર અને અન્ય કાયદામાં સંશોધન ખરડો-2019 રજૂ કર્યો હતો. આ બિલમાં આધારને ઓફલાઇન વેરિફિકેશનની જોગવાઇ કરવામાં આવી છે. તો આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી જય કિશન રેડ્ડીએ લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ ખરડો-2019 રજૂ કર્યો હતો.
