સમાજમાં શાંતિ અને એકતાનું વાતાવરણ ઉભું કરવામાં ધ્યાન આપવા પર ભાર મુકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેકે રાજકારણથી ઉપર ઉઠીને સમાજમાં શાંતિ અને એકતાનું વાતાવરણ ઉભું કરવામાં ધ્યાન આપવું જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સમાચાર સંસ્થા ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો કે, ભારતમાં કોઈપણ નાગરિકને દેશ છોડવો નહીં પડે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રક્રિયા મુજબ તમામ લોકોને તક અપાશે. રોજગારી અંગે તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે અંદાજે એક કરોડ લોકોને નોકરીઓ અપાઈ છે, એટલે દેશમાં રોજગારી છે જ નહીં, એવી પ્રચાર ઝુંબેશ ચલાવવાનું બંધ થવું જોઈએ. તેમણે વિપક્ષના મહાગઠબંધનને એક અસફળ વિચાર ગણાવી કહ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 2014 કરતા પણ મોટી સફળતા મળશે. પ્રધાનમંત્રીએ મહિલાઓ પર થતાં અત્યાચાર અને ટોળા દ્વારા થતી હિંસા અંગે કહ્યું હતું કે, આવી ઘટનાઓ દુઃખદ હોય છે અને દરેકે રાજકારણથી ઉપર ઉઠીને સમાજમાં શાંતિ અને એકતાનું વાતાવરણ ઉભું કરવામાં ધ્યાન આપવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમના પક્ષ અને વ્યક્તિગતરીતે તેમણે પોતે પણ અનેક પ્રસંગે આ મુદ્દે રજૂઆત કરી છે. રાહુલ ગાંધી દ્વારા જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવવા મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે પ્રજાને જીએસટી વિરૂદ્ધ ઉશ્કેરવા શક્ય તમામ પ્રયત્નો કર્યા પણ લોકોએ તેમને સ્વીકાર્યા નહીં. અનામત યથાવત્ રહેશે અને આ મુદ્દે શંકા કરવાની જરૂર ન હોવાની ખાતરી પણ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આપી હતી. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના વડપણ હેઠળ નવી સરકાર તેમના દેશને આતંકવાદ અને હિંસામુક્ત બનાવવાની દિશામાં કામ કરશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
