સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે: શનિવારે શપથ ગ્રહણ સમારોહ
Live TV
-
પશ્ચિમ બંગાળના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે નેતાનો પ્રભાવ સૌથી ઝડપથી વધ્યો છે, તેવા સુવેન્દુ અધિકારી હવે રાજ્યની કમાન સંભાળવા જઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શુક્રવારે કોલકાતા ખાતે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.સુવેન્દુ અધિકારીએ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હરાવીને પોતાની રાજકીય તાકાત સાબિત કરી હતી. આ વખતની ચૂંટણીમાં તેમણે મમતા બેનર્જીની સુરક્ષિત ગણાતી ભવાનીપુર બેઠક પરથી પણ પ્રચંડ વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. સતત બે ચૂંટણીમાં મમતા બેનર્જીને પરાજય આપવો એ અધિકારીની મોટી સિદ્ધિ માનવામાં આવે છે.પૂર્વ મેદિનીપુર જિલ્લામાં મજબૂત પકડ ધરાવતા સુવેન્દુ અધિકારીએ ૧૯૮૯માં વિદ્યાર્થી જીવનથી રાજકારણની શરૂઆત કરી હતી. ૨૦૦૬માં તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ ૨૦૦૯ તથા ૨૦૧૪માં તમલુક બેઠક પરથી સાંસદ તરીકે સેવા આપી. ૨૦૦૭નું નંદીગ્રામ આંદોલન તેમના જીવનનો 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થયો હતો, જેણે વામપંથી સરકારને ઉથલાવવામાં અને મમતા બેનર્જીના સત્તા સુધી પહોંચવાના માર્ગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.એક સમયે મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી ગણાતા અધિકારી ૨૦૨૧ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવતા સુવેન્દુ અધિકારી જમીની સ્તરે કાર્યકરોને સંગઠિત કરવામાં અને ચૂંટણી સમીકરણો ઉકેલવામાં માહિર ગણાય છે. હવે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમની વરણી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવે છે.
