પશ્ચિમ બંગાળ: કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શુભેન્દુ અધિકારી લેશે મુખ્યમંત્રી પદના શપથ
Live TV
-
શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજયપાલ આર.એન. રવિ સાથે મુલાકાત કરીને ભાજપના નેતૃત્વવાળી પ્રથમ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ વાર ભાજપ સરકારની રચના થશે. શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. આજે તેઓ કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ લેશે. આ ભવ્ય શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપ પ્રમુખ નીતિન નવીન તેમજ એનડીએ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી તમામ શકયતા છે. ગત રોજ કોલકાત્તામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક ભાજપના વરિષ્ઠ નેતા અને પર્યવેક્ષક અમિત શાહની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં સર્વાનુમતે શુભેન્દુ અધિકારીને ધારાસભ્ય દળના નેતા કરીકે પસંદ કરાયા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે શુભેન્દુ અધિકારીના પક્ષમાં તમામ મત મળ્યા હતા. પસંદગી બાદ શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજયપાલ આર.એન. રવિ સાથે મુલાકાત કરીને ભાજપના નેતૃત્વવાળી પ્રથમ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
આ વખતની ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીની સુરક્ષિત ગણાતી ભવાનીપુર બેઠક પરથી પણ પ્રચંડ વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. સતત બે ચૂંટણીમાં મમતા બેનર્જીને પરાજય આપવો એ અધિકારીની મોટી સિદ્ધિ માનવામાં આવે છે. પૂર્વ મેદિનીપુર જિલ્લામાં મજબૂત પકડ ધરાવતા સુવેન્દુ અધિકારીએ 1989માં વિદ્યાર્થી જીવનથી રાજકારણની શરૂઆત કરી હતી. 2006માં તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ 2009 તથા 2014માં તમલુક બેઠક પરથી સાંસદ તરીકે સેવા આપી. 2007નું નંદીગ્રામ આંદોલન તેમના જીવનનો 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થયો હતો, જેણે વામપંથી સરકારને ઉથલાવવામાં અને મમતા બેનર્જીના સત્તા સુધી પહોંચવાના માર્ગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી ગણાતા અધિકારી 2021ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવતા શુભેન્દુ અધિકારી જમીની સ્તરે કાર્યકરોને સંગઠિત કરવામાં અને ચૂંટણી સમીકરણો ઉકેલવામાં માહિર ગણાય છે. હવે રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમની વરણી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવે છે.


