હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત, તેમના ધર્મપત્ની સહિત 11 સૈન્ય કર્મીઓનું નિધન
Live TV
-
તમિલનાડુના કુન્નુરમાં ભારતીય વાયુસેનાનું એમઆઇ સીરીઝનું હેલિકોપ્ટર ક્રેશ થતાં સીડીએસ જનરલ બિપિન રાવત તથા તેમના ધર્મપત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્ય કર્મીઓનું દુઃખદ નિધન થયું છે. સીડીએસ જનરલ રાવતના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ ટ્વિટ કરીને શોંક સંદેશ પાઠવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનરલ રાવતના આકસ્મિક અવસાનથી ઉંડુ દુખ વ્યક્ત કર્યું હતું. દિવંગત જનરલ બીપિન રાવતને શ્રદ્ધાંજલિ પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના પ્રથમ સીડીએસ બીપિન રાવત એક ઉત્કૃષ્ટ સૈનિક હતા. તેઓ સાચા દેશભક્ત હતા . તેમણે સશસ્ત્ર બળો અને સુરક્ષા તંત્રને આધુનિક બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ જનરલ રાવતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના મંત્રીઓએ પણ જનરલ રાવતની આકસ્મિક વિદાયથી દુખ અનુભવ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નોંધનીય છે કે સૂલ્લૂરથી વેલિગ્ટન જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં પાઇલટ , સીડીએસ જનરલ બિપિન રાવત તથા તેમના ધર્મપત્ની તેમજ અન્ય અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા. તેમાંથી 13 લોકોનું દુખદ અવસાન થયું હતું. આ દુર્ઘટના અંગે ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે. મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક મળી છે.
