6 મહિના બાદ કોરોનાના અઢી લાખથી ઓછા કેસ, મૃત્યુઆંક 300થી ઓછો
Live TV
-
આરોગ્ય મંત્રાલયે કોરોનાની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, 6 મહિના પછી કોરોનાના એક્ટિવ કેસ અઢી લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 11 દિવસથી કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા 300થી ઓછી જોવા મળી છે. આ સાથે જ દેશનો કોરોના પોઝિટિવિટી રેટ ઘટીને 3 ટકા થયો છે.
10 દિવસની અંદર વેક્સીનેશન અભિયાન શરૂ
કેન્દ્રિય આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સીનની ઈમરજન્સી ઉપયોગની મંજૂરી બાદ 10 દિવસની અંદર આપણે વેક્સીનેશન અભિયાન શરૂ કરી શકીએ છીએ. વેક્સીનેશનની સમગ્ર પ્રક્રિયા ઈલેક્ટ્રોનિક માધ્યમથી થશે. કોરોના વેક્સીનેશનની સમગ્ર પ્રક્રિયા માટે ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. લોકો કોરોના વેક્સીન લેવા માટે કોવિન નામની એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. જોકે, ફ્રન્ટલાઈન વર્કર્સે વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. દર્દીએ કોરોના વેક્સીનનો ડોઝ ક્યારે લેવો જેવી વગેરે બાબતોની જાણકારી તેમને આ એપ્લિકેશનના માધ્યમથી કરવામાં આવશે.
જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને વેક્સીન આપવાની સંભાવના
કોરોના વેક્સીનેશન માટે પાંચ સભ્યોની ટીમ બનાવાશે અને જો વેક્સીનેશન બાદ કોઈ સમસ્યા થશે તો તેનું તાત્કાલિક નિદાન થશે. જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને વેક્સીન આપવાની સંભાવના છે. તો બીજી તરફ સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ રદ કરાયો છે. તેઓ આ વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા, પરંતુ બ્રિટનમાં કોરોના વાઈરસની સ્થિતિ ગંભીર થતા તેમનો પ્રવાસ રદ કરાયો છે..
