JNU કેમ્પસમાં વિદ્યાર્થી જૂથ વચ્ચે અથડામણ, ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ
Live TV
-
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પણ કેમ્પસમાં થયેલી હિંસા મામલે યુનિવર્સિટી તંત્ર પાસેથી માગ્યો રિપોર્ટ
દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારની રાતે હિંસા ભડકી ઉઠી હતી. લાકડીઓ સાથે કેમ્પસમાં ઘુસેલા કેટલાંક બુકાનીધારીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. અસમાજિકતત્વોએ યુનિવર્સિટીના કેમ્પસની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.પોલીસે પરિસરમાં ફ્લેગ માર્ચ કરી હતી. આ ઘટનામાં લગભગ 28 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે જેઓની સારવાર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ ઘટનાને પગલે જેએનયુ સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને જેએનયુના પ્રવેશદ્વારને બંધ કરી દેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, હુમલાખોરે હોસ્ટેલમાં ઘુસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મારપીટ કરી હતી.ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સાથે વાત કરીને તેમની પાસેથી આ મામલે રિપોર્ટ માગ્યો છે. દિલ્હી પોલીસના મુખ્યાલય બહાર પણ રાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. તો દિલ્હી પોલીસનું કહેવું છે કે, જેએનયુ કેમ્પસની અંદર સ્થિતિ સામાન્ય છે અને કેમ્પસની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશચંદ્ર પોખરિયાલ નિશંકે જેએનયુના વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલયની ગરિમાને જાળવી રાખવાની અને પરિસરમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. અને આ મામલે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રમોદકુમાર પાસેથી આ મામલે રિપોર્ટ માગ્યો છે. મંત્રાલયે જેએનયુમાં હિંસા મામલે ટ્વિટ કરીને ખેદ વ્યક્ત કર્યો છે. અને આ ઘટનાને ખુબજ દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને નિંદા કરી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે પણ ટ્વિટ કરીને આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે તેમણે પોતાના ટ્વિટ સંદેશમાં કહ્યું છે કે, આ વિશ્વવિદ્યાલયની પરંપરા અને સંસ્કૃતિની વિરૂદ્ધ છે.
