PM કાશીની મુલાકાતે, 'કાશી એક, રૂપ અનેક' પ્રદર્શનનો કરાવ્યો શુભારંભ
Live TV
-
વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંગમવાડી મઠમાં શ્રી જગદગુરૂ વિશ્વારાધ્ય ગુરૂકુળના શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, નાગરિક તરીકે આપણો વ્યવહાર જ એક નવા ભારતના ભવિષ્ય અને દિશાને નક્કી કરશે.
વધુમાં તેમણે કહ્યું કે, દેશ માત્ર સરકારથી નહીં, પરંતુ દરેક નાગરિકના સંસ્કારો અને મૂલ્યોથી મળીને બન્યો છે. પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના એક દિવસના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રીએ સૌ પહેલા જંગમ બાડી મઠની મુલાકાત લઈ ત્યાં પૂજા-અર્ચના કરી હતી.
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિધ્ધાંત શિખામણી ગ્રંથના 19 ભાષાઓમાં અનુવાદીત સંસ્કરણો અને ગ્રંથની એક મોબાઈલ એપને પણ લોન્ચ કરી હતી.આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે પ્રધાનમંત્રીએ ચંદૌલી જિલ્લાના પડાવ વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ સ્થળને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.તેમણે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.મહત્વનું છે કે, દેશમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આ સૌથી મોટી પ્રતિમા છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ વારાણસીમાં એક હજાર બસો કરોડ રૂપિયાથી વધુની 50 વિકાસ પરિયોજનાઓની શરૂઆત કરાવી હતી. આ સાથે પ્રધાનમંત્રીએ વારાણસીને ઉજ્જૈન અને ઓમકારેશ્વરથી જોડતી મહાકાલ એક્સપ્રેસને પણ લીલીઝંડી બતાવી રવાના કરાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી એક, રૂપ અનેક પ્રદર્શનીનો પણ શુભારંભ કરાવ્યો હતો.ઉપસ્થિત શિલ્પકારો અને વણકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યૂપીના ઉત્પાદનને દેશ-વિદેશના બજારોમાં પહોંચાડવાથી દેશને લાભ થશે.
